નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કના મતદાન માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપ માટે વડોદરાની બેઠકો માથાનો દુઃખાવો બની રહી છે. વડોદરાની ત્રણ બેઠકોને લઈને ભાજપનું કોકડું ગુચવાયું હતું. નેતાઓની ટિકિટ કપાતા નારાજ નેતાઓને મનાવવા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સી.આર. પાટીલે મનામણા કરવાના પ્રયત્ન કર્યા હતા. જોકે એક બેઠક પર નેતાની જીદ સામે ભાજપને ઝુક્યું પડ્યું છે જ્યારે, બે બેઠક પર નેતાને મનાવી શક્યા નથી.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી વડોદરાની એક બેઠકને લઈને ભાજપનું કોકડું ગુચવાયું હતું. પરંતુ આજે સવારે માંજલપુર બેઠક પર યોગેશ પટેલને ટિકિટ આપી હોવાનો યોગેશ પટેલનો દાવો છે. છેલ્લા ઘણાં સમયથી યોગેશ પટેલ જીદે ભરાતા ભાજપ દ્વારા તેમને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમની જીદ આગળ ભાજપને ઝુકવું પડ્યુ હતું. યોગેશ પટેલે જણાવ્યું હતું કે, આજે સવારે મને મોવડી મંડળ તરફથી ફોન આવ્યો હતો, જેથી આજે ફોર્મ ભરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમને મેન્ડેટ પણ મળ્યું હોવાનો દાવો કર્યો છે. જોકે આ વખતે સતત 8મી વખત ભાજપમાંથી યોગેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપ દ્વારા માંજલપુર બેઠકનો કંકાશ તો શાંત કરી દેવાયો છે. પરંતુ વાઘોડીયા અને પાદરા બેઠક પર ભાજપના નેતાઓની નારાજગી યથાવત રહી છે. નારાજ નેતાઓને મનાવવા સી.આર.પાટીલે બેઠક કરી હતી. જોકે એક કલાક સુધી ચાલેલી બેઠક બાદ પણ વાધોડીયાના ધારાસભ્યએ મધુ શ્રીવાસ્તવને મનાવવાનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો છે. બેઠક બાદ મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સતીષ નીશાળિયા ભલે માની ગયા હોય પરંતું હું મધુ શ્રીવાસ્તવ છું, હું અપક્ષ ચૂંટણી લડવાનો જ છું, ફોર્મ ભરતા પહેલા મધુ શ્રીવાસ્તવ હનુમાન મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે. તેમણે રેલી યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું કે, હનુમાનજીની ગદા ફરશે અને મધુ શ્રીવાસ્તવ જીતશે. બીજી બાજુ પાદરા બેઠક પરથી ભાજપથી નારાજ દિનેશ પટેલ(દિનુ મામા) પણ આજે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે.








