દિવ્યકાંત ભટ્ટ (નવજીવન ન્યૂઝ.એટલાન્ટા, અમેરિકા): અમેરિકાની ધરતી પર માત્ર પાંચ જ વર્ષના ટૂંકાગાળામાં આકર્ષણ અને શ્રદ્ધાનું કેન્દ્ર બનેલી એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલીના પંચમ પાટોત્ત્સવની ઉજવણી શનિવારે ભવ્ય રીતે કરાઇ હતી. પંચમ પાટોત્ત્સવ પ્રસંગે પ્રભાતફેરી, ચાંદીના પલના, નંદ મહોત્ત્સવ, શોભાયાત્રા અને સુવર્ણ લહેરી ઉત્ત્સવના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. રવિવારે ઠાકોરજીનો ગિરિકંદરામાં છાકલીલા મનોરથના દર્શનનો લ્હાવો લઇ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.

એટલાન્ટા સિટીમાં 2017 માં વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધિશ્વર દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ ગોકુલધામ હવેલી સ્થપાઇ હતી. આ ગોકુલધામ હવેલીએ પાંચ વર્ષના ટૂંકા સમયમાં જ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ થકી અલગ ઓળખ ઊભી કરી છે. જેના થકી ગોકુલધામ હવેલી આકર્ષણ અને આસ્થાનું પ્રતિક બની છે.
ગોકુલધામ હવેલીને પાંચ વર્ષ પૂર્ણ થતાં શનિવારે પંચમ પાટોત્ત્સવ પ્રસંગની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઇ હતી. પાટોત્ત્સવ પ્રસંગે સવારે મંગળા દર્શન બાદ પ્રભાત ફેરી અને ત્યારબાદ ઠાકોરજીના ચાંદીના પલના સહ નંદ મહોત્ત્સવનું આયોજન થયું હતું. સાંજે ગોકુલધામ પરિસરમાં યોજાયેલી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત શયન દર્શનમાં ‘સુવર્ણ લહેરી’ ઉત્ત્સવ-મનોરથમાં ઠાકોરજીને સોનેરી શ્રૃંગાર સહિત સમગ્ર નિજ મંદિરને સોનેરી ઘટાથી શણગારવામાં આવ્યું હતું. ગોકુલધામમાં પહેલી વખત યોજાયેલા સુવર્ણ લહેરી ઉત્ત્સવ-મનોરથના દર્શન કરી શ્રદ્ધાળુઓ અભિભૂત થયા હતા.

ગોકુલધામના પંચમ પાટોત્ત્સવ પ્રસંગે હવેલીના જગદગુરુ હોલમાં ડૉ.આનંદમય શાસ્ત્રીના વ્યાસપીઠ પદે ત્રિદિવસીય ગિરિરાજ ગુણ ગાથા કથા યોજાઇ હતી. આ કથાની પૂર્ણાહુતિ પ્રસંગે રવિવારે ગિરિરાજ પૂજન અને છાકલીલા ઉત્ત્સવ યોજાયો હતો. જ્યારે શયન દર્શનમાં ગિરિકંદરામાં ઠાકોરજીનો છાકલીલા મનોરથ યોજાયો હતો. પાટોત્ત્સવની ઉજવણીને સફળ બનાવવા માટે સજાવટ ટીમ, કિચન ટીમ, સર્વિંગ ટીમ, વ્યવસ્થા ટીમ અને પાર્કિંગ ટીમનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. ગોકુલધામના ચેરમેન અશોક પટેલ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા ઉપરાંત ટ્રેઝરર કિન્તુ શાહ, હેતલ શાહ, અલકેશ શાહ, સમીર શાહ, પરિમલ પટેલ, ગિરિશ શાહ, કેતુલ ઠાકર, મેહુલ પારેખ, હિતેશ પંડિત, આત્મય અને આર્ષ તલાટીએ જહેમત ઊઠાવી હતી.
પાટોત્ત્સવ પ્રસંગે દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી. મહાપ્રસાદ સેવામાં કિચન ટીમના ભાનુબહેન પટેલ, રંજન શિરોયા, સોહિની પટેલ, અશ્વિન પટેલ, નિક્સન પટેલ, રજનીભાઇ શેઠ, કિરીટ શાહ, જશુબહેન પટેલ, ઇશ્વરભાઇ પટેલ ઉપરાંત સર્વિંગ ટીમના સભ્યો ગૌરાંગ પટેલ, કરણ શાહ, આકાશ પટેલ, વૈભવ શાહે ભોજન વિતરણની સુચારું વ્યવસ્થા સંભાળી હતી.

ફંડ એકત્ર માટે ગોકુલધામની યુથ ટીમનું ‘કાર વોશ’ નું સરાહનીય કાર્ય
ગોકુલધામની વિવિધ ટીમો પૈકી યુથ ટીમ પણ સમયાંતરે આકર્ષણરૂપ કાર્ય કરે છે. જે અંતર્ગત રવિવારે ફંડ એકત્ર માટે યુથ ટીમ દ્વારા ‘કાર વોશ’ નો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જે અંતર્ગત ગોકુલધામના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની કાર વોશ કરી આપી ફંડ એકત્ર કરાયું હતું. યુથ ટીમના સભ્યો ડૉ. હિરલ પટેલ, હરિત પટવા,આસ્થા દલાલ, ધ્રુવલ શાહ, દેવાંગ પટેલ, મૌનિલ પટેલ, આર્યા પુરોહિત, કાવ્યા શાહ, ઇતિ શાહ, અર્થ શાહ, યશ શાહ, દેવ ઠાકર, ક્રિષ્ણા વ્યાસ, મૌલી શાહ, શૈલી શાહ, કુશ દેસાઇ, દ્રષ્ટિ ડોડિયા, વ્રજ પટવા સહિત અન્ય છોકરા-છોકરીઓએ નિર્ધારિત લક્ષ્ય કરતાં વધુ રકમનું ફંડ મેળવી સરાહનીય કાર્ય કર્યું હતું.









