નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા ગ્રેડ પેના મુદ્દાને લઈને આંદોલનના માર્ગે ચઢેલા ગુજરાત પોલીસના જવાનોની માગણીનો વચલો રસ્તો કાઢતા પગાર વધારાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. આ તરફ ગુજરાત પોલીસના પગાર વધ્યા પરંતુ બીજી તરફ નશાબંધી અને આબકારી વિભાગની સ્થિતિ તો જાણે સાવકા સંતાનની હોય તેવી છે. પગારને લઈને વિસંગતતા દુર કરવા અને કેટલીક પડતર માગણીઓ સાથે આ મામલે વિભાગના કેટલાક કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
નશાબંધી ખાતાના ઈન્સપેક્ટર, સબ ઈન્સપેક્ટર, જમાદાર, કોન્સ્ટેબલ સંવર્ગ કુલ મંજુર મહેકમ 497 જેટલી સંખ્યામાં છે. જેમાંથી 60 ટકા જેટલી જગ્યા પરના પગાર ભથ્થા અને અન્ય ખર્ચ જેતે લાયસન્સદારના ખર્ચ ભોગવે છે. એટલે કે નશાબંધી આબકારી ખાતાના આ કર્મચારીઓ-અધિકારીઓના પગાર, મકાનભાડા, સુપરવિઝન ચાર્જ, એસ્કોટ ચાર્જ, ટ્રાન્સપોર્ટ પરમીટ ફી, વિદેશી દરુ પર ઈમ્પોર્ટ-એકસાઈઝ ડ્યૂટી વગેરે રકમ સરકારી તિજોરીમાં જમા કરાવાય છે જે પછી પગાર ભથ્થાઓમાં તેનો ખર્ચ પડે છે. આવકમાંથી જ તેમના પગાર ભથથાનો ખર્ચો પુરો પડી જાય છે. કર્મચારીઓની રજૂઆત એવી છે કે આ પ્રકારની ફીઓમાં સામાન્ય વધારો કરીને તે જ રકમ માથી તેમને પગાર વધારો કરી આપવામાં આવે.
તેમણે આ ઉપરાંત ચિમકી ઉચ્ચારી છે કે પગારની વિસંગતતા દુર થાય નહીં ત્યાં સુધી ઉદ્યોગો માટે લવાતા ઈથાઈલ આલ્કોહોલના જથ્થાના એસ્કોર્ટની કામગીરી મુલતવી કરીશું. તેના સુપરવિઝનની કામગીરીથી અડઘા રહીશું. ગુજરાતની 74 વિદેશી દારુની દુકાનો પાસે કોઈ હથિયાર કે વાહન વગર અમે જીવના જોખમે જવાનું બંધ કરીશું. તેવી ઘણી ચિમકીઓ વિભાગના કર્મચારીઓએ ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ચૂંટણી નજીક છે તેવા સંજોગોમાં વધુ એક વિભાગ આંદોલનનો માર્ગ પકડે તે સરકારને પોસાય તેમ નથી જ. અહીં આવો જાણીએ તેમણે આવેદન પત્રમાં શું શું સ્થિતિઓ પર વાત કરી છે અને શું માગણીઓ કરી છે.













