નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અને દિવાળીના તહેવારો પહેલા ગુજરાત સરકારે મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. CNG અને PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત ઉજ્જવલા યોજના ધારકોને વર્ષે બે ગેસના સિલિન્ડર ફ્રી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતના 38 લાખ LPG ધારકો માટે દિવાળી અને ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાધાણી દ્વારા જાહેરાત કરતા જણાવવામાં આવ્યું છે કે, CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડર માટે કુલ 650 કરોડની રાહત અપાશે. ‘ ઉજ્જવલા યોજના અંતર્ગત રાજ્યમાં વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત અપાશે અને ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જ જમા થઇ જશે.
CNG ગેસમાં છેલ્લા કેટલાક સમયથી સતત ભાવ વધારો સામે આવી રહ્યો છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા CNG ગેસના વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવતા હવે રિક્ષા ચાલક અને મધ્યમ વર્ગના 14લાખ CNG વાહન ચાલકોને તેનો સીધો ફાયદો થશે.








