નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના ઘણા સ્થાનો પર આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુસ્લિમ પોશાક પહેરાવ્યો હોય તે રીતે દર્શાવીને વિવિધ જગ્યાઓ પર કેટલાક લખાણો સાથે બેનર્સ લગાવાયા છે. જેમાં હું ઈશ્વરને માનીશ નહીં, હું હિન્દુ ધર્મને પાગલપન માનું છું વગેરે જેવા ધાર્મિક લાગણીઓને દુભાવી દે તેવા પોસ્ટર્સ લગાવાયા છે. જે પછી આમ આદમી પાર્ટીના નેતાઓ આકરા થયા અને તેમણે ઘણા પોસ્ટર્સ ફાડી નાખ્યા હતા. આ બાજુ ધર્માંતરના કાર્યક્રમમાં નવી દિલ્હી ખાતે આપ સરકારના મંત્રી રાજેન્દ્ર પાલનો વીડિયો પણ વાયરલ થવા લાગ્યો છે. ભાજપ નેતા અને ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કમલમમાંથી પત્રકાર પરિષદમાં આ વીડિયો ફૂટેજ દર્શાવવા સાથે આમ આદમી પાર્ટીને આ માટે પરિણામ ભોગવવા તૈયારી રાખવાની ગર્ભિત ચિમકી આપી છે. રાજેન્દ્ર પાલના નિવેદનોનો ભોગ હવે કેજરીવાલને બનવાનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
ચૂંટણી નજીક છે, જ્યાં પાંચ વર્ષ સુધી વિકાસ અને બીજી પાર્ટીઓ શિક્ષણ રોજગારની વાતો કરતી હતી ત્યાં હવે ધર્મનું રાજકારણ જોર પર છે. રાજકીય પાર્ટીઓ જાણે છે કે ધર્મનું કાર્ડ આ બધા કરતાં વધુ મજબૂત છે. જોકે રાજકારણના ખેલમાં સામાન્ય પ્રજાના હૃદયમાં દ્વેષ ભાવના જન્મે તે માનવતાની દ્રષ્ટીએ યોગ્ય નથી. હાલમાં જ ધર્માંતરના કાર્યક્રમનો વીડિયો વાયરલ થયો. તે પછી હવે ગુજરાતમાં ઠેરઠેર અરવિંદ કેજરીવાલને હિન્દુ ધર્મ વિરોધી દર્શાવતા પોસ્ટર્સ જાહેર થયા. આ કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ નારાજ થયા છે. તેમણે ઘણા પોસ્ટર્સ ફાડી નાખ્યા છે.
આ તરફ આમ આદમી પાર્ટીને આ ધર્માંતર કાર્યક્રમને લઈને જીતુ વાઘાણીએ આકરા શબ્દોમાં આડેહાથે લઈ લીધી છે. તેમણે એવું પણ કહ્યું કે, ગુજરાત બધાને આવકારે છે, અમે સંકુચિત માનસિકતા ધરાવતા લોકો નથી. આ ભગવાન કૃષ્ણની ધરતી છે. આમ આદમી પાર્ટીએ પહેલા ધર્માંતર મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ પછી ગુજરાતમાં આવવું જોઈએ.
તેમણે એવું પણ કહ્યું કે, હિન્દુ સમાજ શાંતિમાં માનનારો સમાજ છે, તમારામાં તાકાત હોય તો અન્ય સમાજ માટે કાંઈક બોલી તો જુઓ. આ મામલે તેમણે એવું પણ કહ્યું કે, તમારે આ બાબતના પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. ઉલ્લેખનીય છે કે આ તરફ ચૂંટણીનો માહોલ છે અને બીજી બાજુ ધર્મને લઈ રાજકારણમાં ગરમાવો જોતા રાજકીય પંડિતો માને છે કે આ ધર્મનું ગંદુ રાજરાકણ શરૂ થઈ ગયું છે અને તેના કારણે ક્યાંય લોકોન મનદુખ ન થાય તેની તકેદારી રાખવી જરૂરી છે. ધર્મનું કાર્ડ વર્ષોથી આપણે ત્યાં રમાયું છે. દરેક રાજકીય પાર્ટી આ કાર્ડને ખુબ સ્ટ્રોંગ માને છે પરંતુ તેના ખેલમાં સામાન્ય માણસની તકલીફોને ભુલી જવાય નહીં.
આ તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ભીતિ વ્યક્ત કરી છે કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનના ગુજરાત પ્રવાસ દરમિયાન કેટલાક તત્વો દ્વારા એરપોર્ટ પર વિરોધ કરવાના છે. જોકે આ વિરોધ પ્રદર્શન આ જ પોસ્ટોર વોર સાથે જોડાયેલું હોવાનું લોકોનું માનવું છે પરંતુ તેની પાછળ સત્યતા કેટલી છે તે જોવું રહ્યુ્ં.








