નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી મુદ્રા સોસાયટીમાં રહેતા પટેલ પરિવારને લૂંટારુઓ બંદૂક બતાવીને સોનું અને રોકડ રૂપિયા લઈ ફરાર થઈ ગયાની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે હાલમાં તહેવારો નજીક છે ત્યારે આ ઘટનામાં કોઈ આંતર રાજ્ય ગેંગ સંડોવાયેલી હોય તેવી પોલીસને શંકા છે. પોલીસે આ ઘટનાની સઘન તપાસ હાથ ધરી છે.
ઘટના એવી છે કે, વડોદરાના વાસમા ભાયલી વિસ્તારમાં મુદ્રા સોસાયટીમાં રહેતા દિપકભાઈ પટેલ અને દિવ્યાબહેન પટેલ મૂળ કરજણના વતની છે. તેઓ ગત રાત્રે પોતાના ઘરના કમ્પાઉન્ડમાં આવેલા હિંચકા પર બેસી વાતો કરી રહ્યા હતા. દરમિયાનમાં ત્રણ લૂંટારૂઓ બાઈક પર આવ્યા અને અચાનક ઘરમાં ઘૂસી ગયા. તેઓએ બુમ પાડી પુછ્યું કોનું કામ છે પણ તે પહેલા આ શખ્સોએ રિવોલ્વર કાઢી અને સીધી તેમની તરફ તાકી દીધી અને ધમકી આપી તેમને બાનમાં લઈ લીધા.
લૂંટારુઓએ દિપકભાઈ અને દિવ્યાબેનને સેલોટેપથી બાંધીને બંધક બનાવી લીધા. તે પછી તેઓએ ઘરમાંથી 50 તોલા સોનું અને રોકડા લૂંટી લીધા અને ત્યાંથી ફરાર થઈ ગયા. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પણ લૂંટની ઘટના બની હતી જ્યાં બિલ્ડર પ્રભાત સિંઘવીને પણ ઘરઘાટી અને તેના પરિવારે લૂંટી લીધા હતા. તેઓ 35 લાખ લૂંટી ગયા હતા પરંતુ પોલીસે તેમને બેચરાજીથી ઝડપી પાડ્યા હતા.








