નવજીવન ન્યૂઝ. પાટણઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપમાં આ વખતે અનેક નેતાઓને ટિકિટ કપાવવાનો ભય લાગી રહ્યો છે. તેવામાં નેતાઓ દ્વારા જે વિસ્તારમાં સરળતાથી જીત મેળવી શકાય તેવા વિસ્તારમાં ઉમેદવારી કરવા માટે જાહેરમાં માગણી કરવામાં આવી રહી છે. જોકે બુધવારે આડકતરી રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા બે બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉપરાંત આ બે નેતાઓનો વિજય થાય તેવી શુભેચ્છા પણ આપી હતી.
ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડવાના સંકેત આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈને અમે પુરી રીતે તૈયાર છીએ. કોને ટિકિટ આપવી અને કોને નહીં તે અંગે પીએમ મોદી અને અમિત શાહ નક્કી કરે છે. સી.આર. પાટીલને અલ્પેશ ઠાકોર અંગે સવાલ પુછવામાં આવતા કહ્યું હતું કે, અલ્પેશભાઈ અમારા સિનિયર આગેવાન છે. તેમણે ચૂંટણી લડે અને તેમણે સીટ પરથી વિજય થાય તેવી એમને શુભેચ્છા આપીએ છીએ. દરેક પોતાના મતવિસ્તામાં ચૂંટણી લડવા માગતા હોય છે અને ત્યાં જ તૈયારી કરતા હોય છે. રાધનપુર તેમનો વિસ્તાર છે. તેમણે લડશે અને જીતશે અમને તેવો વિશ્વાસ છે.
વધુમાં સી.આર. પાટીલે જણાવ્યું કે, દિલીપભાઈ ઠાકોર અમારા સિનિયર નેતા છે, તેમણે કેબિનેટમંત્રી પણ રહી ચૂક્યા છે, ખૂબ સારા કાર્યકરતા છે, તેમણે પણ ચૂંટણી લડશે અને જીતશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલીપ ઠાકોર ચાણસ્મા બેઠક પરથી ઉમેદવારી કરતા આવ્યા છે. ત્યારે આ વખતે ફરી પાર્ટી આ બેઠક પરથી તેમને ચૂંટણીમાં ઉતારી શકે તેવા સંકેત આપ્યા છે.
અલ્પેશ ઠાકોરે ગત મે મહિનામાં રાધનપુરમાં ઠાકોર સમાજના સમૂહ લગ્નના કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, 2022ની ચૂંટણીમાં અહીં જ લડવા આવવાનો છું અને તમારે મને જીતાડવાનો છે. રાધનપુરના મતદારોએ મને પ્રેમ આપ્યો છે. તેમને નોંધારા નહીં છોડું. અહીં વિકાસ છેલ્લા ત્રણ વર્ષથી વિકાસ અટકી ગયો છે. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર વર્ષ 2017માં કોંગ્રેસમાંથી રાધનપુરમાંથી ચૂંટણી લડીને વિજય થયા હતા. ત્યારબાદ 2019 કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાતા આ બેઠક પર પેટા ચૂંટણી થઈ હતી. જેમાં અલ્પેશ ઠાકોરની સામે કોંગ્રેસના રધુ દેસાઈનો વિજય થયો હતો.








