નવજીવન ન્યૂઝ. વલસાડઃ વલસાડમાં પ્રખ્યાત મહિલા સિંગરની લાશ નદી કિનારે મળી આવતા હત્યા થઈ હોવાની ચર્ચા પથંકમાં થઈ રહી હતી. તેવામાં સિંગર વૈશાલી બલસરાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા જે ચર્ચા વ્યાપી હતી તે હકીકતમાં ફેરવાઈ છે. પોસ્ટમોર્ટમમાં વૈશાલીની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે સિંગર મહિલાની હત્યા કેમ કરવામાં આવી હતી તે હજી સુધી સામે આવ્યું નથી.
પ્રાપ્ત વિગત અનુસાર, વલસાડના તિથલમાં રહેતી 32 વર્ષીય મૃતક વૈશાલી બલસાર પતિ, બે દિકરીઓ અને સાસુ સસરા સાથે રહેતી હતી. જેનું પીયર નવસારીમાં છે અને પીયરના પરિજનો કેનેડા સ્થાઈ થઈ ગયા છે. વૈશાલ બનાવની સાંજે 7 વાગ્યે કોઈ મહિલા મિત્રને મળવા જઉં છું એવું કહી નીકળી હતી અને મોડી રાત સુધી પાછી ન આવી એટલે પતિએ વલસાડ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
પતિની ફરિયાદના બીજા દિવસે સવારના સમયે પારડી તાલુકાના પાર નદી કાંઠે એક શંકાસ્પદ હાલતમાં અજાણી કાર ઘણા સમયથી ઊભી હતી. સવારે પારડી પોલીસ સ્ટેશનની હદમાં બિનવારસી કાર મળી છે તેની જાણ થતાં પોલીસ ગઈ તો તેનો મૃતદેહ પાછળની સીટમાં લેગ સ્પેસમાં પડ્યો હતો. શરીર પર કોઈ પ્રકારની ઈજા ન હતી, કપડા અકબંધ હતા. વલસાડ પોલીસે તેનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવ્યું જેમાં તેનું ગળું દબાવી દેવાના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ હત્યાનો ગુનો નોંધી સિંગરનું મોત કેવી રીતે થયું અને કોણે કર્યું તેના તથ્યો જાણવા કુલ 5 ટીમ બનાવી છે. ટેક્નિકલ સર્વેલન્સ અને એનાલીસીસ પણ ચાલુ છે. હત્યા કોઈએ વ્યક્તિગત કારણસર કરી છે કે કોઈ નજીકની વ્યક્તિ હત્યામાં સંડોવાયેલી છે પોલીસ તે મુદ્દે તપાસી રહી છે.








