નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજકોટમાં ફિલ્મી કહાની જેમ એકના ડબલની લાલચમાં આગંડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. ઠગબાજ ટોળકીએ આંગડિયા પેઢીના કર્મચારીને વિધિ કરીને પૈસા ડબલ કરવાની લાલચ આપી હતી. ટોળકીની વાતમાં આવી જતાં કર્મચારીને 11 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનાને અંજામ આપનારી ટોળકીના 3 આરોપીને 11 લાખની રોકડ સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.
માહિતી અનુસાર, રાજકોટની આંગડિયા પેઢીમાં કામ કરતા જોરૂભા જીવાજી દરબાર ઠગ ટોળકીનો શિકાર બન્યા હતા. જોરૂભા જીવાજીને એક વર્ષ અગાઉ પરિચયમાં આવેલા ભરતજીએ વિધિ કરીને પૈસા ડબલ કરી આપતા માતાજીની વાત કરી હતી. રૂપિયા 11 લાખ વિધિમાં મુકો તેમ કહી જોરૂભા જીવાજીને બીજા રૂમમાં મોકલી બહારથી દરવાજો બંધ કરી આરોપી લતાબેન ઉર્ફે માતાજી સહિતની ટોળકી નાસી ગઈ હતી. ટોળકીએ 26 જૂલાઈના રોજ એક કા ડબલનો ખેલ પાર પાડ્યો હતો. 11 લાખ ગુમાવ્યા બાદ જોરૂભા જીવાજીએ રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે 11 લાખની રકમની છેતરપિંડીના આરોપીઓમાંથી માતાજી સહિત 3ને પકડી પાડ્યા હતા. પોલીસે ઠગ ટોળકીની પુછપરછ કરતા ઠગાઈ ટોળકીના અગાઉના કારસ્તાનની પણ કબુલાત કરી હતી. આરોપીઓ ઠગાઈ કરવા માટે પહેલા ગ્રાહકને વિશ્વાસમાં લેતા હતા ત્યાર બાદ પૈસા ડબલ કરવાની લાલચ આપતા હતા. માતાજી વિધિ કરી આપશે તેમ જણાવીને લતાબેન ઉર્ફે માતાજીને મળવા લઈ આવતા હતા. વિધિ માટે બે મીટર સફેદ કાપડ, 2-3 કિલો ગુલાબના ફૂલ અગરબતિ, ચવાણું, પેંડા, પાણીની બોટલ અને સીગારેટનું પેકેટ હાજર રાખવાનું ગ્રાહકને જણાવતા હતા.
છેતરપિંડી કરતી લતાબેન ઉર્ફે માતાજીની ટોળકી ગ્રાહકના ઘરે જઈ કોઈની અવર-જવર ન હોય તેવી જગ્યાએ વિધિનો સામાન મગાવીને કપડા પર ફૂલ પાથરી અગરબતિ કરી પૈસા મુકાવી દેતી હતી. ગ્રાહક પૈસા મુકે ત્યાર બાદ ટોળકીની માતાજી કેટલા રૂપિયા જોઈએ છે તેમ પુછીને બાદમાં થોડી વાર દરવાજો બંધ કરી બહાર જવાનું કહેતી. ત્યાર બાદ મોટા વાસણમાં કે જે તે પહેલા જ મંગાવતી હોય છે તેમાં ફૂલ ભરી ઉપર રૂપિયા રાખી અને આખુ વાસણ પૈસાથી ભરાઈ ગયું છે તેવું બતાવવાનો પ્રયાસ કરી ગ્રાહકને પાંચ દિવસ તેને અડવાનું નથી, આ વાસણની રોજ અગરબતિ કરી અને પછી તેને ખોલ્યા બાદ ડબલ થયેલા રૂપિયા લઈ લેવાનું કહેતી. અનેક કિસ્સાઓમાં ઠગ ટોળકી ગ્રાહકે બીજા રૂમમાં જવાનું કહી બહારથી દરવાજો બંધ કરી ભાગી જતી હતી.
આરોપી ઠગ ટોલકીના માતાજી સહિતને ક્રાઈમ બ્રાન્ચે લાવી પુછપરછ કરતા અનેક મોટા ખુલાસા થયા હતા. આરોપીઓએ રાજકોટમાં જોરૂભા જીવાજી સાથે કરેલી ઠગાઈ પહેલા પણ આવા ગુના કર્યાં હતા. જે પૈકી પાટણના દિયોદરમાં 5 લાખની છેતરપિંડી, ગાંધીનગરના પીપલોદ ગામમાં પટેલ પરિવારના ઘરે જઈ એકના ડબલની લાલચ આપી 2 લાખની છેતરપિંડી આચરી હતી, ગત ધનતેરસના દિવસે જ પીપળજ ગામના દરબાર પરિવારને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી 80 હજાર પડાવ્યા, દિવાળીના દિવસે મહેસાણાના પીલવાઈ ગામ ખાતેના એક તબેલામાં જઈ વિધિ કરવાના નામે રૂપિયા 5 લાખ પડાવ્યા બાદ લોકોએ ઠાકોર દાદીને પકડી રાખતા આજીજી કરી માંડ છૂટકારો મેળવ્યો હતો અને ત્યાં ઠગ ટોળકીને કંઈ હાથમાં આવ્યું ન હતું. જેમાં ઈમ્તિયાઝ, ઠાકોર દાદી, મુકેશભાઈ, ભાવેશભાઈ અને યુનુસભાઈ, લાતેબેન ઉર્પે માતાજી સંડોવાયેલા હતા.
મહેસાણામાં બે હિના અગાઉ ગણેશપુરા ગામમાં ઓલા કેબની કાર ભાડે બુક કરી ડ્રાયવર આકાશ શર્માને પણ વાડીમાં જઈ રૂપિયા ડબલ કરવાનું કહી 2 લાખ 12 હજારની છેતરપિંડી કરી હતી, બે મહિના અગાઉ અંકલેશ્વરમાં બારોબાર ગામડાના પટેલના ખેતરમાં જઈ વિધિના બહાને રૂપિયા 5 લાખની છેતરપિંડી આચરી હતી. થરાદમાં ડિસેમ્બર 2019માં આ જ પ્રકારે રૂપિયા 11 લાખ પાટ પર મુકી વિધિના નામે પૈસા ખંખેરવા ગયા પરંતુ સામે વાળા પક્ષના પુરોહિતે મુરત જતુ રહ્યું હોવાનું કહેતા કામ થયું નહીં અને ખાલી હાથ પાછા ફર્યા હતા. સુરતના વરાછામાં ફેબ્રુઆરી 2022માં 11 લાખ વિધિના નામે લાલચ આપી પરંતુ તે જગ્યાએ માણસો વધારે હોવાના કારણે ટોળકીને પકડાઈ જવાનો ડર લાગતા હાલ કામ નહીં થાય તેમ કહીને નાસી ગયા હતા.








