નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં તાજેતરમાં બે અલગ-અલગ વિસ્તારમાંથી માણવા અંગો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બને વિસ્તારોમાંથી મળેલા અંગોને જોતાં પોલીસને કોઈ એક વ્યક્તિના જ અંગો હોવાની શંકા થઈ હતી. જેથી પોલીસે માનવ અંગોની ખરાઈ કરવા માટે DNA સ્ટેસ્ટ માટે સેમ્પલ મોકલી આપ્યા હતા. અમદાવાદમાં આખરે કોણ માનવ અંગો કચરા ફેંકી રહ્યું છે તે અંગે પોલીસ તપાસ કરી હતી ત્યારે ગણતરીના દિવસોમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
અમદાવાદમાં ગત 20 તારીખે વાસણા વિસ્તારના ખુલ્લા મેદાનમાંથી કચરાના ઢગલામાંથી પોલીસને હાથ-પગ અને માથા વગરનું ધડ મળી આવ્યું હતું. જો કે બે દિવસ બાદ એલિસબ્રિજ વિસ્તારમાંથી કલગી ચાર રસ્તા પાસેથી બે હાથ અંગે પગ મળી આવ્યા હતા. જે મોડસ ઓપરેન્ડી અંગોનો નાશ કરવા માટે વાપરવામાં આવી હતી તે જોતાં અંગો કોઈ એક વ્યક્તિના હોવાનું જ પોલીસ માની રહી હતી. આખરે આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા માટે વાસણા પોલીસ, એલિસબ્રિજ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કામે લાગી ગઈ હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. બ્રહ્નભટ્ટ અને એસ.જી. દેસાઇની આગેવાની હેઠળ તેમની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એન. ભરવાડ, કે.એમ. ચાવડા અને ટેકનિકલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કુલદીપ પરમાર, બિન્દેશ બેન્કજ દ્વારા જે બે વિસ્તારમાંથી માનવ અંગો અમલી આવ્યા હતા. તે જગ્યા પર જઈને તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદે તપાસ કરતાં એક બાદ એક કળીઓ હાથમાં લાગી હતી.

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં માનવ અંગો ફેંકનાર નિલેશ જયંતિલાલ જોષી હોવાનું સામે આવ્યું હતું. બંને વિસ્તારોમાં માનવ અણગો ફેંક્યા બાદ તે અમદાવાદથી એસટી બસમાં સુરત ગયો હતો અને સુરત રેલવે સ્ટેશનથી રાતના બે વાગે અવધ એક્સપ્રેસમાં બેસીને ગોરખપુર થઈને નેપાલ ભગવાના પ્લાનિંગમાં હતો. સમગ્ર બાબતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીકએ તાત્કાલીક આર.પી.એફ.ના અધિકારીનો સંપર્ક કરીને આરોપી અંગે જાણકારી આપી આરોપી પકડી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. બ્રહ્નભટ્ટ અને એસ.જી. દેસાઇની ટીમને મોકલી હતી. રાત્રિના સમયે રાજસ્થાનના સવાઈ માઘવપુર જીલ્લાના ગંગાપુર રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવીને તેની પુછપરછ કરતા એક બાદ એક રહસ્ય ખોલ્યા હતા. આરોપી નિલેશ જોષી પોતાના સગા દિકરા સ્વયંમ જોષી (ઉં.21) સાથે છેલ્લા 6 વર્ષથી જોડે રહે છે, દિકરાને દારૂ અને નશીલા પદાર્થના વ્યસનની લતે ચડી જતા ઉગ્ર અને ઝઘડાળું વર્તન કરવા લાગ્યો હતો. ગત 18 તારીખે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ દિકરો ખુબ નશામાં હતો અને તે પિતા નિલેશ જોડે પૈસા લેવા બાબતે ઝઘડો કરીને ગાળો બોલવા લાગ્યો હતો. ઉપરાંત દિવાલોમાં જોર જોરથી ફેંટો મારવા લાગ્યો અને તિજોરીનો કાચ પણ ફોડી નાખ્યો હતો. નશામાં ધુત મૃતક દિકરાએ તેના પિતાને મારવા માટે પાવડાનો લાકડાનો હાથો લઈને પિતા પર હુમલો કરવા જતા દિકરાને લાત મારીને પલંગ પર પછાડી દીધો હતો.
ત્યાર બાદ પિતાએ રસોડામાં જઈને પથ્થરની ખાંડણી લઈ આવી દિકરાના માથામાં 6, 7 વાર ઘા મારી દીધા હતા. ઘાના કારણે દિકરાએ શ્વાસ છોડી દીધો હતો. પિતાએ લાશનો નિકાલ કરવા માટે કાલુપુર વિસ્તારમાં જઈને ઈલેક્ટ્રીક ગ્રાઈન્ડર અને મોટી પ્લાસ્ટીકની થેલી ખરીદેને લઈ આવ્યો હતો. પિતાએ દિકરાની લાશને રસોડામાં લઈ જઈને ગ્રાઈન્ડરથી શરીરના ટુકડા કરવાનું શરૂ કર્યું હતું. સૌ પ્રથમ માથું અને ત્યાર બાગ બે હાથ અને બે પગને ધડથી કાપીને 6 ટુકડા કર્યાં હતા. પછી તેને પ્લાસ્ટીકની મોટી થેલીમાં ભરીને એક્ટીવા પર શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફેંકી દીધા હતા.








