નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં તાજેતરમાં જ બે અલગ-અલગ વિસ્તારમાંથી માનવ અંગો મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. સૌ પ્રથમ વાસણા વિસ્તારમાંથી હાથ-પગ અને માથા વગરનું ધડ કાચનાના ઢગલામાંથી મળી આવ્યું હતું. આ ઘટનાના બે દિવસ બાદ એલિસબ્રિજ વિસ્તારમાંથી બે હાથ અને પગ કચરાના ઢગલામાંથી મળી આવ્યા હતા. અમદાવાદમાં આ મર્ડર મિસ્ટ્રીને ઉકેલવા માટે વાસણા પોલીસ, એલિસબ્રિજ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી.
અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાંથી મનુષ્યના કપાયેલા અંગોમાં એક જ સરખી પોલિથીન બેગમાં મળી આવી હતી. જેથી પોલીસને શંકા હતી કે આ માનવ અંગો કોઈ એક વ્યક્તિના જ છે. પોલીસે આ દિશામાં તપાસ કરતા હત્યારા સુધી પહોંચી ગઈ છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મર્ટર મિસ્ટ્રીને ઉકેલી નાખી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, અમદાવાદમાં પિતાએ જ પુત્રની હત્યા કરીને લાશના ટુકડાઓ અલગ-અલગ વિસ્તારોમાં નાખી દીધા હતા.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદના મર્ડર મિસ્ટ્રી અંગે તપાસ કરી રહી હતી તે દરમિયાન પોલીસના હાથે એક સીસીટીવી હાથ લાગ્યા હતા. જેમાં એક ઉંમર લાયક વ્યક્તિ એક્ટિવા પરથી કોથળો લઈને જતા જોવા મળ્યા હતો. પોલીસનેવ તેમાં માનવ અંગો હોવાની શંકા જતાંની સાથે પોલીસના હાથે પહેલી કડી હાથમાં આવી, વધુ તપાસ હાથ ધરતા જે એક્ટિવા પર આ વ્યક્તિ થેલો લઈને જતો હતો તે એક્ટિવાના નંબરના આધારે પોલીસ તે ઘર સુધી પહોંચી, પણ તે એક્ટિવા માલિકે તે એક્ટિવા કોઈ બીજાને વેચી દીધું હતું.
પોલીસે એક્ટિવા વહેંચનારનું સરનામુ લઈને આંબાવાડીમાં આવેલા ઘરે તપાસ કરતા તાળુ જોવા મળ્યું હતું. પોલીસે તાળુ તોડતા ઘરમાંથી લોહીના ડાઘા અને હથિયારો મળી આવ્યા હતા. આસપાસના સ્થાનિકો જોડે પુછપરછ કરતા આ ઘરમાં રિટાયર્ડ ક્લાસ-2 ઓફિસર નિલેશ જોશી તેના પુત્ર સાથે રહેતો હતો. જોકે છેલ્લા કેટલાક દિવસથી જોવા મળ્યો ન હતો. જેના કારણે પોલીસની શંકા પ્રબળ બની ગઈ હતી. પોલીસે ફોરેન્સીક પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું. કારણ હવે પોલીસને ખબર હતી કે પિતાએ જ પુત્રની હત્યા કરી હોઈ શકે છે. આખરે તપાસમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
જો કે પિતા પણ ફરાર થઈ ગયો હતો. પોલીસે હત્યારા પિતાને ઝડપી પાડવા અલગ-અલગ ટીમ બનાવીને તેને ઝડપી પાડવાના ચર્કો ગતિમાન કર્યા હતા. પોલીસને આખરે માહિતી મળી કે પિતા રાજસ્થાનમાં છૂપાયો છે. રિટાયર્ડ ક્લાસ-2 ઓફિસર નિલેશ જોશીને આખરે પોલીસે રાજસ્થાનથી ઝડપી તેની ધરપકડ કરી છે. પોલીસ પુછપરછમાં તેણે પ્રારંભીક માહિતી આપી હતી કે તેના દિકરા સાથે દારૂ પીવા માટે ઝધડો થતા દિકરાને મોતના ધાટ ઉતારી દીધો હતો. જોકે આ ઘટનામાં પોલીસ જ્યારે વધુ પુછપરછ કરશે ત્યારે વધુ વિગતો સામે આવવાની શક્યતાઓ છે. કારણ કે પિતાએ કેટલા કઠોર હૃદયે પુત્રના કટકા કર્યા તેની નિર્દયતાને પણ પોલીસ સમજશે.








