નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં પોલીસ કમિશનર ઓફિસની સામે જ એક યુવાને ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવકનો આક્ષેપ છે કે તાલુકા પોલીસ દ્વારા તેની ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું. જોકે યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતાં CP ઓફિસ આગળ હજાર પોલીસકર્મી દ્વારા તેને અટકાવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
માલતિ માહિતી મુજબ, આજે રાજકોટ પોલીસ કમિશનર ઓફિસ આગળ પિયુષ રાઠોડ નામના એક યુવકે પોતાનું જીવન ટૂંકાવવા માટે ફિનાઇલ પી લીધું હતું અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવકનો આક્ષેપ છે કે, તેણે પ્રેમ લગ્ન કર્યા છે અને તેની પત્ની ગર્ભવતી છે, તેમ છતાં તાલુકા પોલીસ આ દંપતીને વારંવાર પોલીસ સ્ટેશન બોલાવીને હેરાન કરે છે જેના કારણે તેણે આ પગલું ભર્યું છે. અગાઉ પણ પોલીસ દ્વારા તેને માર મારીને ત્રાસ ગુજરાવામાં આવ્યો હતો.
પોલીસ કમિશનર ઓફિસ આવીને જીવન ટૂંકાવવા પ્રયાસ કરતા આ યુવકને હાજર પોલીસકર્મીઓએ અટકાવ્યો હતો. ત્યાં સુધીમાં યુવકે થોડું ફિનાઈન પી લીધું હતું જેના કારણે પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ કમિશનર આ મામલને ગંભીરતાથી લઈને ઉંડી તપાસ કરી ચોક્કસ કારણ જાણવા માટેની કાર્યવાહી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)]








