નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ગુજરાત સરકારે રચેલી SITના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા બાદ ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, તિસ્તા સેતલવાડે ગુજરાત સરકારને પછાડવા અને પીએમ મોદીને ફસાવવા માટે જે કંઈ કર્યું તે કોંગ્રેસના ઈશારે કર્યું હતું. કોંગ્રેસ દ્વારા તિસ્તાને લગભગ 30 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
સંબિત પાત્રાએ કહ્યું કે, જે પણ કરવામાં આવ્યું તે માત્ર ગુજરાત અને મોદી સરકારને બદનામ કરવા માટે કરવામાં આવ્યું હતું. સત્તા મેળવવા માટે આ આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને અંગત ઉપયોગ માટે પોતાની તિજોરીમાંથી પૈસા આપ્યા હતા. તેમણે કહ્યું, આ આખો ખેલ અહેમદ પટેલે અંજામ આપ્યો હતો, પરંતુ તેની પાછળ સોનિયા ગાંધીનો હાથ હતો. હકીકતમાં અહેમદ પટેલ તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા.
શુક્રવારે SITએ તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડે 2002માં ગુજરાત સરકારને અસ્થિર કરવા માટે કોંગ્રેસ ફંડ મેળવ્યું હતું. SITએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે 2002ની ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના પછી તરત જ ગુજરાતમાં ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવા માટે સેતલવાડ એક મોટું કાવતરું ઘડી રહ્યા હતા. આટલું જ નહીં આ માટે તેને હરીફ રાજકીય પક્ષના મોટા નેતાનો આર્થિક સહયોગ પણ મળ્યો હતો. SIT અનુસાર આરોપી સેતલવાડ શરૂઆતથી જ આ ષડયંત્રનો ભાગ બની હતી. ગોધરા ટ્રેનની ઘટનાના થોડા દિવસો બાદ અહેમદ પટેલ સાથે તેમની મુલાકાત થઈ હતી અને પ્રથમ વખત તેમને પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાની સૂચના પર એક સાક્ષીએ તેમને પૈસા આપ્યા હતા.








