નવજીવન ન્યૂઝ. વલસાડઃ વલસાડમાં અતિભારે વરસાદના કારણે ઔરંગા નદી ગાડીતુર બની છે. મધૂબન ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાતા તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યુ છે. હિંગરાજ ગામે હેલિકોપ્ટર દ્વારા 5 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન NDRFએ 50 મજૂરો સહિત કુલ 70 લોકોને રેસ્ક્યૂ કર્યા છે. રેસ્ક્યૂ ઓપરેશન સતત હાલ ચાલુ છે.
વલસાડમાં ભારે વરસાદના કારણે કાંઠાના વિસ્તારમાં અવરજવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. વલસાડના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. NDRFની ટીમએ પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. ભાગડાખુદમાં 3000થી વધુ લોકો પાણીમાં ફસાયા છે. જ્યારે હિંગરાજ અને ભળેલી વિસ્તારમાં 2000 લોકો ફસાયેલા છે. ભાગડાખુદ ગામ ઔરંગા નદી કિનારે અને દરિયા નજીક આવેલું હોવાથી સંપર્કવિહોણું બન્યું છે.
ઉપરવાસમાં ભારે વરસાદના લીધે મધુબન ડેમમાં પાણીની આવક વધી જતા 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવા અંગેની જાણકારી સેલવાસ અને દમણના કલેક્ટર સાથે વર્ચ્યુઅલ બેઠક કરીને આપવામાં આવી હતી. વલસાડમાં ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે.








