વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપલા): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત મોડેલની મોટી મોટી વાતો કરીને કેન્દ્રની સત્તા મેળવી. તાજેતરમાં પીએમ મોદી દક્ષિણ ગુજરાતના દાહોદ ખાતે આવ્યા હતા. તે સમયે કરોડો રૂપિયાના વિકાસના કામોની જાહેરાત પણ કરી હતી. ગુજરાતની રાજ્ય સરકાર પણ આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસના કામો કર્યા હોવાના દવા કરે છે, તો બીજી બાજુ એ જ આદિવાસી વિસ્તારોના ઘણા ગામો હજુ પણ વિકાસથી વંચિત રહી ગયા છે. ગુજરાત સરકારના મંત્રીઓ કે પછી ભાજપનાં નેતાઓ આદિવાસી વિસ્તારની જમીની હકીકત જાણવાનો પ્રયાસ કરે તો વિકાસની સાચી વ્યાખ્યા કોને કહેવાય એનો ખ્યાલ આવશે.
વિકાસના નામે દક્ષિણ ગુજરાતનાં નર્મદા જીલ્લામાં સ્ટેચ્યું ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ બનાવીને તેની આસપાસના વિસ્તારનો વિકાસ કરવામાં આવ્યો છે. સરદાર સરોવર ડેમના મધ્યમથી કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પાણી મોકલવામાં આવે છે, પરંતુ નર્મદા જિલ્લાના જ કેટલાક ગામો એવા છે જ્યાં લોકને પીવાના પાણી માટે પણ વલખાં મારવા પડે છે. આવી સ્થિતિમાં પણ જો સરકાર આદિવાસી વિસ્તારમાં વિકાસ કર્યો હોવાનો જશ લેતી હોય તો આ અત્યંત દુખદ બાબત છે. સ્ટેચ્યું ઓફ યુનિટીની નજીક જ આવેલું તિલકવાડા તાલુકાનું ચંદપુર ગામ છેલ્લા 20થી વધારે વર્ષોથી પાણીની અછતની સામનો કરી રહ્યું છે. પાણીના અભાવને કારણે ગામની મહિલાઓની સ્થિતિ દાયનીય બની છે.
પાણી આપો, આવાસ આપો અને શાળા આપો એવી માંગ સાથે આદિવાસી ટાઈગર સેનાના પ્રમુખ ડો. પ્રફુલ્લ વસાવા સહીત ચંદપુર ગામના લોકોએ રેલી સ્વરૂપે તિલકવાડા મામલતદાર સહિત જિલ્લા વહીવટીતંત્રને રજુઆત કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારા ગામની મહિલાઓ અને વૃદ્ધ મહિલાઓ છેલ્લાં ઘણા વર્ષોથી 2-3 કીમી ચાલી વેરી ખોદી પીવાનુ પાણી ભરવા મજબુર થાય છે. ઉનાળામાં તો મહિલાઓની હાલત ઘણી જ દયનીય થઈ જાય છે. અમારા ગામમા ઘણા વર્ષોથી આવાસ મંજૂર થયા નથી. ગામના બાળકોને ભણવા માટે બાલવાડી કે શાળા પણ નથી. અમારા ગામના બાળકોને 4-5 કીમી દુર ભણવા જવું પડે છે વિદ્યાર્થીઓને શાળા સુધી લાવવા લઈ જવાની કોઈ સુવિધા પણ નથી. અમારું ગામ જંગલ વિસ્તારમાં આવ્યું હોવાથી જંગલી જાનવરોનો ભય રહેલો છે એટલે અમે બાળકોને ભણવા મોકલતા પણ ગભરાઈએ છીએ.
આદીવાસી ટાઈગર સેનાના પ્રમુખ ડો. પ્રફુલ્લ વસાવા, ઓળબિયા ગામ પંચાયતના સરપંચ ભરત વસાવા અને ચંદપુર ગામના લોકોએ તંત્રને ચીમકી આપતા જણાવ્યું હતું કે જો ચંદપુરા ગામ લોકોને તત્કાલ પીવાંનું પાણી નહીં આપવામાં આવે તો મામલતદાર કચેરી પર ભૂખ હડતાળ કરી આંદોલન શરૂ કરીશું, જરૂર પડે તો કલેકટર કચેરીનો ઘેરાવ પણ કરીશું. આ ચીમકીની અસર પણ થઈ હતી, ચીમકી બાદ આટલા વર્ષો સુધી ઊંઘતું તંત્ર તુરંત ચંદપૂરા ગામે પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી હતી. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આટલા વર્ષો સુધી તંત્રને કેમ આ સમસ્યા દેખાઈ નહી હોય???
ઓળબિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના સરપંચ ભરત વસાવાએ જણાવ્યું હતું કે 20-25 વર્ષથી ચંદપુરા ગામમાં પીવાનાં પાણીની તકલીફ છે, પીવાના પાણીની સુવિધા તો છે પણ એ પાણી પીવા લાયક નથી. એક સંપ પણ મંજૂર થયો હતો પણ જમીનના વિવાદને લીધે એ કેન્સલ થયો છે. 2012-13 માં આવાસ બન્યા હતા તે પછી બન્યા નથી. જેના આવાસ બાકી છે એમણે વારસાઈ નથી કરી એટલે બાકી છે. ગામમાં શાળા કે બાલવાડી પણ નથી, પ્રશ્નોનુ નિરાકરણ નહી આવે તો ભૂખ હડતાળ પર ઉતરીશુ.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











