Vadodara Hotel case: વડોદરાની હોટેલમાં ગે યુવકનું મોત રૂમ નં-304 કે 302માં થયું? મૃતકને ઢસડી બીજા રૂમમાં લઈ જવાયો, 3 કલાક પછી એમ્બ્યુલન્સ બોલાવાઈ; ત્રીજો યુવક હોટેલ છોડી કેમ ભાગ્યો? આવા ઘણા સવાલોએ વડોદરાના એક કેસને ભારે ચકચારી અને રહસ્ચમય બનાવી દીધો છે. એક તરફ યુવકને ઢસેડાયો હોવાની વાતો સામે આવે છે તો બીજી તરફ પોલીસના નિવેદનોમાં પણ કાંઈક અલગ જ સ્થિતિ સામે આવે છે.
19 ઓગસ્ટે વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી હોટેલ વિન્ટેજમાં પરિણીત ગે યુવકની શંકાસ્પદ લાશ મળી હતી. યુવકના મોત મામલે અનેક સવાલો ઊભા થયા છે. શરૂઆતમાં ફરહાન (નામ બદલ્યું છે) જાતે જ રૂમ નંબર 304માંથી 302માં ગયો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ હવે ફરહાનને એક રૂમમાંથી બીજા રૂમમાં ઢસડીને લઈ જવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ફરહાન સાથે ઘટના બન્યાના લગભગ 3 કલાક બાદ કિરણ (નામ બદલ્યું છે) હોટેલ સ્ટાફને આ અંગે જાણ કરી હતી. ફરહાનની તબિયત લથડી ત્યારે જ એમ્બ્યુલન્સ કેમ ન બોલાવવામાં આવી તે પણ તપાસનો વિષય બન્યો છે. મૃતક ફરહાને નશો કર્યો હતો કે વાયગ્રા લીધી હતી કે નહીં તે અંગે પણ હજુ રહસ્ય અકબંધ છે.
સમલૈંગિક કિરણ અને ફરહાન 18 ઓગસ્ટની રાત્રે આશરે 2:50 વાગ્યે હોટેલ વિન્ટેજ પહોંચ્યા હતા અને બંનેએ એક રૂમ બુક કર્યો હતો. ફરહાને અગાઉથી રમતુંજી (નામ બદલ્યું છે)ને ફોન કરીને હોટેલ પર બોલાવ્યો હતો. રાત્રે આશરે 3:05 વાગ્યે રમતુંજી હોટેલ પર પહોંચ્યો અને હોટેલ સ્ટાફની નજર ચૂકવીને રૂમ નંબર 304માં પ્રવેશ્યો હતો. થોડા સમય બાદ રમતુંજી હોટેલની બહાર નીકળી પોતાનું બાઈક થોડે દૂર પાર્ક કરીને ફરી હોટેલમાં આવ્યો હતો અને રૂમ નંબર 304માં ગયો હતો.
આ દરમિયાન રૂમ નંબર 304માં લાઈટ ટ્રિપ થઈ હોવાનું કહી રૂમ બદલવાની વાત હોટેલ સ્ટાફને કરવામાં આવી હતી. ત્યારબાદ હોટેલ સ્ટાફે રૂમ નંબર 302 ફાળવ્યો હતો. કિરણ આશરે 3:20 વાગ્યે ફરહાનને રૂમ નંબર 304માંથી ઢસડીને રૂમ નંબર 302માં લઈ ગયો હતો. રમતુંજી પણ તેની પાછળ રૂમમાં ગયો હતો. આશરે 3:25 વાગ્યે રમતુંજી હોટેલમાંથી બહાર નીકળી બાઈક લઈને ઘરે જતો રહ્યો હતો.
સવારે આશરે 6:30 વાગ્યે કિરણ રૂમ નંબર 302માંથી બહાર આવ્યો હતો. તેણે હોટેલના રિસેપ્શન પર જઈ ફરહાનને કંઈક થઈ ગયું હોવાનું જણાવી એમ્બ્યુલન્સ બોલાવવાની વાત કરી હતી. એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચતા ફરહાનને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ 108ની ટીમે પોલીસને જાણ કરતાં રાવપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસ તપાસમાં અનેક સવાલો હજુ વણઉકેલ્યા છે. ફરહાનનું મોત રૂમ નંબર 304માં થયું હતું કે 302માં, તેને એક રૂમમાંથી બીજા રૂમમાં કેમ ઢસડીને લઈ જવામાં આવ્યો અને ઘટના બાદ તરત જ એમ્બ્યુલન્સ કેમ ન બોલાવવામાં આવી જેવા સવાલોના જવાબ પોલીસ શોધી રહી છે. FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મહત્વના ખુલાસા થઈ શકે છે.
આ મામલે પોલીસે કિરણની પૂછપરછ કરી છે. જોકે, ફરહાને નશો કર્યો હતો કે નહીં તે અંગે હજુ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. મૃતકના શરીર પર ઈલેક્ટ્રિક શોકના નિશાન પણ મળ્યા હોવાનું પોલીસનું કહેવું છે.
DCP ઝોન-2 મંજીતા વણઝારાના જણાવ્યા અનુસાર, ડોક્ટરના પ્રાથમિક તારણ મુજબ મૃત્યુ કુદરતી લાગી રહ્યું છે, પરંતુ મૃતકના શરીર પર ઈલેક્ટ્રિક શોકના નિશાન મળ્યા છે. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરા સેમ્પલ લેવામાં આવ્યા છે. વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક સાયન્સની તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાના સમયે રૂમમાં મૃતક ઉપરાંત તેના મિત્રો હાજર હતા. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે મૃતકને ગભરામણ થતાં તેને નવડાવવામાં આવ્યો હતો. રૂમમાં ત્રીજા મિત્રની હાજરી પણ પોલીસ તપાસમાં સામે આવી છે. રમતુંજી ત્યાં શા માટે આવ્યો હતો, તેને કોણે બોલાવ્યો હતો અને ત્રણેય વચ્ચે શું વાતચીત થઈ હતી તે સહિતના તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે.








