નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે 27 ફેબ્રુઆરીની વહેલી સવારે સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળતા તંત્ર સક્રિય બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ પણ પ્રકારનું વિસ્ફોટક અથવા શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
સવારે 5 વાગ્યે મળ્યો મેઇલ
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસના સત્તાવાર ઈ-મેઇલ આઈડી પર વહેલી સવારે અંદાજે 5 વાગ્યે અંગ્રેજીમાં લખાયેલી ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. ઓફિસ ખુલતાની સાથે જ મેઇલની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ.
ઓફિસ બિલ્ડિંગ ખાલી કરાવી આસપાસનો વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો હતો. બોમ્બ સ્ક્વોડ દ્વારા આધુનિક સાધનો અને ડોગ્સની મદદથી સમગ્ર પરિસરની ઝીણવટભરી તપાસ કરવામાં આવી.
રાજ્યભરની પોસ્ટ ઓફિસોમાં એલર્ટ
સુરતની ઘટનાના અનુસંધાને ગુજરાતની અનેક પોસ્ટ ઓફિસોના સુપરિન્ટેન્ડન્ટના મેઇલ પર સમાન પ્રકારનો સંદેશ મળ્યો હતો. હેડ ઓફિસ તરફથી મળેલા એલર્ટ બાદ ભાવનગર, અમરેલી, મહેસાણા, ગાંધીનગર, વેરાવળ, વલસાડ, નવસારી, ગોધરા, હિંમતનગર, સાબરકાંઠા અને જામનગર સહિતના શહેરોમાં પોસ્ટ ઓફિસો ખાલી કરાવી ચેકિંગ હાથ ધરાયું હતું.
મહેસાણાના હેડ પોસ્ટ માસ્ટરે જણાવ્યું કે, હેડ ઓફિસથી મળેલા મેઇલના આધારે પોલીસ કંટ્રોલને જાણ કરી ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરાવવામાં આવી હતી.
વેરાવળ, વલસાડ અને નવસારીમાં પણ સ્થાનિક પોલીસ, SOG, LCB અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. ગોધરામાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાલી કરાવી સઘન તપાસ કરવામાં આવી. જામનગરમાં ચાંદી બજાર સ્થિત પોસ્ટ ઓફિસ ખાલી કરાવી આસપાસની દુકાનો બંધ કરાવવામાં આવી હતી.
ભૂલથી ફોરવર્ડ થયેલો મેસેજ
પ્રારંભીક આ મામલામાં ધમકી મોકલનાર વ્યક્તિનો તમિલનાડુનો કેસ અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરાવવાના ઈરાદો હોવાનું સામે આવ્યું હતું. જે અંગે સુરતના પોલીસ અધિકારીએ આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, આ મેઈલ પરથી આગળની કાર્યવાહી થશે. મેઈલમાં લખ્યું છે કે એક પોકસોનો તમિલનાડુનો કેસ કોઈ બીજા સ્ટેટમાં ટ્રાન્સફર થઈ જાય તેવો ઉલ્લેખ કરાયો છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે ધમકીનો સંદેશ કોઈ ચોક્કસ સ્થળને ટાર્ગેટ કરતો નહોતો. ગાંધીનગરના પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, વાઢેર નામના વ્યક્તિ દ્વારા આ મેસેજ ભૂલથી ફોરવર્ડ થતા રાજ્યભરમાં એલર્ટ સર્જાયો હતો. હાલ તે વ્યક્તિની પૂછપરછ ચાલી રહી છે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં ક્યાંય કોઈ બોમ્બ કે જોખમજનક સામગ્રી મળી આવી નથી અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.
સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર, સાયબર ટીમના માધ્યમથી મોકલાયેલા સંદેશના મૂળ સ્ત્રોત સુધી પહોંચવા તપાસ આગળ વધી રહ્યું છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








