નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ગુજરાતના વડોદરામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા Rahul Gandhi એ કેન્દ્ર સરકાર અને ભાજપ પર તીવ્ર પ્રહાર કરતા આદિવાસી હકો, પ્રાઈવેટાઈઝેશન અને આર્થિક અસમાનતા જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે “આદિવાસી” અને “વનવાસી” શબ્દોને લઈને પણ ગંભીર સવાલો ઊભા કર્યા.
“આદિવાસી એટલે મૂળ હકદાર, વનવાસી શબ્દ પાછળ વિચારધારા”
રાહુલ ગાંધીએ કહ્યું કે “આદિવાસી” શબ્દ દેશના મૂળ રહેવાસીઓને દર્શાવે છે, જ્યારે “વનવાસી” શબ્દ દ્વારા તેમની ઓળખ બદલવાનો પ્રયાસ થાય છે. તેમના મત મુજબ આ માત્ર શબ્દનો ફેરફાર નથી પરંતુ વિચારધારાનો મુદ્દો છે.
વિકાસના નામે જમીન છીનવાઈ રહી છે : આક્ષેપ
તેમણે આરોપ લગાવ્યો કે વિકાસના નામે આદિવાસીઓની જમીન લેવામાં આવી રહી છે અને યોગ્ય વળતર મળતું નથી. “જલ, જંગલ અને જમીન” પર આદિવાસીઓનો હક હોવા છતાં તેમને પાછળ ધકેલવામાં આવી રહ્યા છે એવું તેમણે જણાવ્યું. રાહુલ ગાંધીએ દેશમાં જાતિ આધારિત ગણતરીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, આદિવાસી, દલિત અને પછાત વર્ગોની વસ્તી મોટા પ્રમાણમાં છે, પરંતુ સરકારી તથા ખાનગી ક્ષેત્રમાં તેમની ભાગીદારી ખૂબ ઓછી છે.
પ્રાઈવેટાઈઝેશનથી અસમાનતા વધે છે
તેમણે જણાવ્યું કે પ્રાઈવેટાઈઝેશનના કારણે આરક્ષણ અને સમાન તકની વ્યવસ્થા કમજોર થઈ રહી છે. સરકારી સંસ્થાઓમાં મળતી તકો હવે ખાનગી ક્ષેત્રમાં ઉપલબ્ધ નથી તેવો દાવો કર્યો.
શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં સરકારની ભૂમિકા જરૂરી
રાહુલ ગાંધીએ કહ્યું કે આદિવાસી અને ગરીબ વર્ગના વિકાસ માટે સરકારી શાળાઓ, સરકારી કોલેજ અને યુનિવર્સિટીઓ, સરકારી હોસ્પિટલ, મજબૂત હોવી જરૂરી છે.
બંધારણની રક્ષા પર ભાર
તેમણે પોતાના ભાષણના અંતમાં ભારતના બંધારણને સુરક્ષિત રાખવાની અપીલ કરી અને જણાવ્યું કે તે જ ગરીબ, આદિવાસી અને પછાત વર્ગના અધિકારોનું રક્ષણ કરે છે.








