નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ ગુજરાત પ્રવાસે આવ્યા હતા. જોકે હવે ચૂંટણીઓ નજીક હોવા અને સ્થાનીક નેતાગીરી કરતાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો આ ઈલેક્શનમાં ભરપૂર ઉપયોગ થવા જશે તેવું લાગી રહ્યું છે. જેને કારણે રાષ્ટ્રીય નેતાઓનો ગુજરાત પ્રવાસ એક પછી એક વધતો જાય તો નવાઈ નહીં. હાલમાં જ ગુજરાત આવેલા નરેન્દ્ર માટે એક પછી એક જાણે કામ સામે આવી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. હવે નરેન્દ્ર મોદી ગુજરાતમાં આગામી 10મી સપ્ટેમ્બરના એક ઉદ્ઘાટન સમારંભમાં આવવાના છે તેવી વિગતો સામે આવી છે.
વડાપ્રધાન અને ભાજપ પણ જાણે છે કે ચૂંટણી પહેલા ભાજપને કોરોના, બેરોજગારી, શિક્ષણ અને સુરક્ષા સહિતના મુદ્દાઓ પરેશાન કરનારા છે અને આ બધી પરેશાનીઓમાં અન્ય નેતાઓ સામે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાઓની લોકપ્રિયતા બહાર લાવી શકે તેમ છે. વડાપ્રધાન આગામી 10મી સપ્ટેમ્બરે અમદાવાદ આવવાના છે અને જેમાં તેઓ ગુજરાતના વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવાના છે. જેમાં 28 રાજ્યોના વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રીઓ પણ ભાગ લેવાના છે.
એટલું જ નહીં કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓ ઉપરાંત 100 સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોના સીઈઓ પણ આ કાર્યક્રમનો ભાગ બનશે.








