નવજીવન ન્યૂઝ, અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણને લઈને અમદાવાદ સહિત દેશભરના પેટ્રોલ પંપ પર લોકોએ લાઈન લગાવી દીધી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી છતાં પણ પંપો પર લાઈનો લાગેલી રહી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ અપીલ કરવી પડી. બીજી તરફ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જારી કરી સંગ્રહખોરોને ડરાવવાનો પ્રયાસ કરાયો છે. અત્રે નોંધનીય છે કે, પેટ્રોલ પંપો પર ભારે ભીડના કારણે ઑનલાઈન ટ્રાન્ઝેક્શન બંધ કરી દેવાયા છે અને રોકડમાં જ પેટ્રોલ-ડીઝલ વેચવામાં આવી રહ્યું છે.
પંપો પર પોલીસ તૈનાત કરવી પડી
સોશિયલ મીડિયા પર તેલ સંકટની અફવા અને નરેન્દ્રભાઈના ભાષણમાં કોરોનાકાળનો ઉલ્લેખ ભારે પડી ગયો. આ કારણસર અમદાવાદ સહિત દેશભરના પેટ્રોલ પંપ પર લાઈનો લાગી ગઈ. પ્રત્યેક પેટ્રોલ પંપ પર સામાન્ય દિવસો કરતાં બમણું વેચાણ કરવામાં આવ્યું. કેટલાંક ઠેકાણે તો લાઈનમાં ઘૂસ મારવાને લઈને મારા મારીના બનાવો બન્યા. ભારે ધસારો, ટ્રાફિક જામ અને કાયદો-વ્યવસ્થાને લઈને અનેક પેટ્રોલ પંપ પર પોલીસ વાન તૈનાત કરવામાં આવી.
પરિપત્ર કેમ કરવો પડ્યો ?
સોમવારે લાઈનો લગાવનારી સંખ્યા આજે મંગળવારે સવારે પણ જોવા મળી. સરકારના મંત્રી અને અધિકારીઓની અપીલ છતાં પણ લોકોમાં તેલ સંકટનો ભય ઓછા થયો ન હતો. આજે અન્ન નાગરિક પુરવઠા વિભાગે તમામ કલેકટર અને જિલ્લા પુરવઠા અધિકારી (DSO) તેમજ ઑઈલ કંપનીઓને પરિપત્ર મોકલ્યો છે. પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ-ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીમાં જ ભરીને કરાશે. સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાયેલી અફવાના કારણે પેટ્રોલ-ડીઝલનું પેનિક બાઈંગ છે. વિક્રેતા કૃત્રિમ અછત ઊભી કરે અથવા સંગ્રહખોરી કરશે તો જવાબદારની આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.








