નવજીવન ન્યૂઝ, અમદાવાદ: 12 જૂન 2025ની ઇન્ડિન એરલાઇનની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ટેકઓફ થયાની બે મિનિટમાં જ ક્રેશ થઇ ગઇ. જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત 270થી વધુ લોકોના મોત થયા. આ ભયાનક ઘટના બની તે પહેલા જાણે કુદરત વિજય રુપાણીને આ મુસાફરી ટાળવા માટે અનેક સંકેત આપતી હતી. જે આપને જણાવીએ..
વિજય રુપાણીના લંડન ખાતે રહેતી દીકરીના ઘરે ધાર્મિક પ્રસંગ હોવાથી વિજય રુપાણી અને તેમના પત્ની તેમજ ખાસ મિત્રો નિતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરી લંડન જવાના હતાં. અંજલીબેન 19 મેના રોજ લંડન જતાં રહ્યા હતા. પરંતુ પંજાબના લુધિયાણામાં પેટાચૂંટણી હોવાથી રુપાણી ત્યાં પ્રચારની કામગીરીને કારણે સાથે જઇ શક્યા નહીં. 5 જૂને વિજય રૂપાણી, નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરીએ 5 જૂનના રોજની ટિકિટ કરાવી હતી. પરંતુ પંજાબમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્તને કારણે 5 જૂને માત્ર ધનસુખ ભંડરી લંડન ગયા હતા.

ત્યાર બાદ વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજે 10 જૂનની ટિકિટ કરાવી હતી. પરંતુ રુપાણી રાજકીય કાર્યક્રમો અને પંજાબની ચૂંટણીના કારણે ફરી જઇ શક્યા નહીં અને ટિકિટ કેન્સલ કરાવી અને આ વખતે 10 જૂને નીતિન ભારદ્વાજ એકલા લંડન ગયા. જેથી વિજય રુપાણીની ટિકિટ 12 જૂને કરાવવામાં આવી.
એટલું જ નહીં વિજય રૂપાણી ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે એ ધ્યાને આવતાં જ 48 કલાક પહેલાં એરલાઈન્સે સામેથી તેમનો સંપર્ક કર્યો હતો અને તેમની ટિકિટ અપગ્રેડ કરીને બિઝનેસ ક્લાસમાં ટ્રાન્સફર કરી આપી હતી. આમ વિજય રુપાણીને કુદરતે અનેક સંકેત આપ્યા હતા. પરંતુ આ ગોજારી ઘટનામાં તેમનું નિધન થયું.








