જીવનમાં ક્યારેક એવા સંજોગો આવે છે કે જ્યાં મનોબળ અને હિંમતની સાચી કસોટી થાય છે. સાબરકાંઠાના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર ક્રિષ્ના વાઘેલાની કહાણી એવી જ પ્રેરણાદાયક છે. તેમણે જીવનમાં બે વખત બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડીને જીત મેળવી છે અને આજે પણ પૂરેપૂરી નિષ્ઠાથી સરકારી ફરજ બજાવી રહ્યા છે.
સિવિલ સર્વિસથી શરૂ થયેલી કારકિર્દી
ક્રિષ્ના વાઘેલાનો જન્મ વર્ષ 1983માં અમદાવાદમાં થયો હતો. બાળપણથી જ તેમને સિવિલ સર્વિસ દ્વારા સમાજ સેવા કરવાનો સંકલ્પ હતો.
વર્ષ 2011માં તેમણે તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે પોતાની સરકારી કારકિર્દી શરૂ કરી. બાદમાં તેઓ 2019માં ગાંધીનગરના મહેસુલ વિભાગમાં ફરજ બજાવવા જોડાયા.
2019માં પ્રથમ વખત કેન્સરનું નિદાન
2019માં તેમને પ્રથમ વખત બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું. સામાન્ય રીતે કેન્સરનું નામ સાંભળતા જ લોકો માનસિક રીતે તૂટી જાય છે, પરંતુ ક્રિષ્નાબેન વાઘેલાએ હિંમત અને આત્મવિશ્વાસ સાથે સારવાર શરૂ કરી.
તેમણે અંધશ્રદ્ધા કે દોરા-ધાગા જેવી બાબતોમાં વિશ્વાસ રાખવાને બદલે યોગ્ય તબીબી સારવાર અને મજબૂત મનોબળ સાથે કેન્સર સામે જંગ લડ્યો.
2022માં ફરી કેન્સર, છતાં મનોબળ અડગ
વર્ષ 2022માં તેમને ફરી એકવાર બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું. આ બીજી વખતની લડાઈ વધુ કઠિન હતી, છતાં ક્રિષ્નાબેન વાઘેલાએ મજબૂત મનોબળ અને સકારાત્મક વિચાર સાથે સારવાર ચાલુ રાખી.
આ દરમિયાન તેમણે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા પણ જાળવી રાખી. સારવાર વચ્ચે પણ તેઓ માત્ર 22 દિવસમાં જ વિધાનસભા ચૂંટણીની કામગીરી માટે ઓફિસે જોડાયા હતા.
આજે સંપૂર્ણ સ્વસ્થ અને ફરજ પર
બે વખત કેન્સરને હરાવી આજે ક્રિષ્નાબેન વાઘેલા સંપૂર્ણ સ્વસ્થ છે અને સાબરકાંઠામાં રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.
તેમનું માનવું છે કે ભગવાન પર શ્રદ્ધા, સકારાત્મક વિચારો અને આસપાસના લોકોનો સહકાર હોય તો કોઈપણ મુશ્કેલી સામે જીત મેળવી શકાય છે.
અનેક લોકો માટે પ્રેરણાસ્રોત
આજના સમયમાં ઘણીવાર નાની સમસ્યાઓથી લોકો માનસિક રીતે તૂટી પડે છે. આવી સ્થિતિમાં ક્રિષ્નાબેન વાઘેલાની કહાણી સમાજ માટે પ્રેરણાદાયક છે.
તેમણે સાબિત કરી બતાવ્યું છે કે મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસ હોય તો જીવનના મોટા સંકટો સામે પણ જીત મેળવી શકાય છે.
વિશ્વ મહિલા દિવસના પ્રસંગે તેમની આ સંઘર્ષયાત્રા અનેક મહિલાઓ માટે હિંમત અને આત્મવિશ્વાસનું પ્રતિક બની રહી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








