નવજીવન ન્યૂઝ, અમદાવાદ : વર્ષ 2021માં છત્તીસગઢના રાયપુર શહેરમાં બનેલા ચકચારી હત્યા અને લૂંટ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ને સફળતા મળી છે. વૃદ્ધ મહિલાની હત્યા કરીને ફરાર થયેલા બે શખસો પૈકી અમદાવાદમાં છુપાયેલા એક શખસને ઝડપી લેવાયો છે. પાંચેક વર્ષથી ફરાર હત્યારાને અટકમાં લીધા બાદ તેને છત્તીસગઢની રાયપુર પોલીસને સોંપવાની ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી કરી છે.
મિલકતના ઝઘડામાં માતાએ દીકરાની સોપારી આપી
રાયપુર ખાતે રહેતા વિધવા શકુંતલા અમર યાદવને બે દીકરાઓ હતા, મોટો દીકરો અજય અને નાનો અમિત. અજય યાદવ વર્ષ 2017થી માતા તેમજ તેના નાના ભાઈથી અલગ રહેતો હતો કારણે કે મિલકતને લઈને ઝઘડો ચાલતો હતો. અજય યાદવની હત્યા કરવા માટે ભાઈ અમિત અને માતા શકુંતલાએ અજયકુમાર ઉર્ફે લક્ષ્મીસાગર ઉર્ફે કિંમતીશ્રી રાજનારાયણ મિશ્રાને 4 લાખમાં સોપારી આપી હતી. કૉન્ટ્રાક્ટ કિલિંગ (Contract Killing) માટે 1 લાખ રૂપિયા મળતા અજય મિશ્રા ઉર્ફે લક્ષ્મીસાગર પોતાના વતન ચાલ્યો ગયો હતો.
પુત્રની સોપારી આપનારી માતાની હત્યા
કૉન્ટ્રાક્ટ કિલર (Contract Killer) અજય મિશ્રા એડવાન્સ રકમ લઈને વતનમાં ચાલ્યો જતાં અમિત યાદવ અને તેની માતા શકુંતલા તેના ઘરે પહોંચે છે. લાખ રૂપિયાની ઉઘરાણી કરતા થોડા સમયમાં હત્યાનું કામ કરવાની અજય મિશ્રાએ ખાતરી આપી હતી. થોડાક મહિનાઓ બાદ અજય મિશ્રા તેના મિત્ર કેતન ઉર્ફે કે.ટી. રામસુંદર તિવારી સાથે શકુંતલા યાદવના ઘરે આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, અમિત યાદવ જેલમાં છે અને માતા ઘરે એકલી રહે છે. ઘરમાં રહેલી દસેક લાખની રોકડ અને 30-35 તોલા સોનાના દાગીના લૂંટી લેવા માટે બંને શખસો શકુંતલા યાદવને ગળે ટૂંપો આપી હત્યા કરી ફરાર થઈ જાય છે.
હત્યા કેસનો ભેદ ઉકેલાયો પણ હત્યારો ફરાર
રાયપુર પોલીસની તપાસમાં સમગ્ર મામલો સામે આવી જાય છે. હત્યારાઓએ લૂંટનું સોનું ઉત્તર પ્રદેશના કૌશમ્બી ખાતે વેચ્યું હતું ત્યાં સુધી પોલીસ પહોંચે છે. ધરપકડથી બચવા હત્યારાઓ પોતાની ઓળખ છુપાવીને જુદાજુદા સ્થળોએ રોકાય છે. અજય મિશ્રાએ પોલીસથી બચવા મોબાઈલ ફોનનો ઉપયોગ બંધ કરી દીધો હતો. આ ઉપરાંત પાન કાર્ડ અને આધારકાર્ડનો પણ ઉપયોગ ટાળતો હતો. દરમિયાનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ જી. કે. ભરવાડ (PSI G K Bharwad) ને બાતમી મળી હતી કે, હત્યા કેસનો ફરાર આરોપી અમદાવાદમાં છુપાયો છે. જે માહિતીના આધારે અજય મિશ્રા ઉર્ફે લક્ષ્મીસાગર ઉર્ફે કિંમતીશ્રીને ઝડપી લેવામાં આવ્યો છે.








