નવજીવન ન્યૂઝ, અમદાવાદ : લીકર પરમીટ (હેલ્થ પરમીટ) મેળવવા માટે દરેક અરજદારે સિવિલ હૉસ્પિટલમાં હજારો રૂપિયાનું ડૉનેશન રોગી કલ્યાણ સમિતિમાં ફરજિયાત આપવું પડે છે. અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે ફરજ બજાવતા આરોગ્ય વિભાગના કેટલાંક કર્મચારીઓએ દાનની રકમમાંથી 1.80 લાખ બારોબાર ચાંઉ કરી લીધા છે. આ મામલે ઘટસ્ફોટ થતાં ડૉક્ટર જયંત નાગરદાસ સોલંકીએ શાહીબાગ પોલીસ સ્ટેશન (Shahibaug Police Station) માં પ્રોહિબિશન એન્ડ એક્સાઈઝના ત્રણ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

રોકડા મેળવી પહોંચ આપી દેવાની ફરિયાદ મળી
અસારવા સિવિલ હૉસ્પિટલ (Civil Hospital Asarwa) માં મેડિકલ ઑફિસર તરીકે ડૉ. જયંત સોલંકી વર્ષ 2006થી ફરજ બજાવે છે. ડૉ. સોલંકી પાસે લીકર પરમીટનો વધારાનો ચાર્જ પણ છે. લીકર પરમીટ મેળવવા માટે રોગી કલ્યાણ સમિતિમાં અરજદારે 20 હજારથી લઈને 25 હજાર રૂપિયા સુધીનું દાન આપવાનું હોય છે. આ રકમ ઉઘરાવવા માટે આરોગ્ય વિભાગના કર્મચારીને કામગીરી સોંપવામાં આવી છે. જયંત સોલંકીને માહિતી મળી હતી કે, આરોગ્ય વિભાગના કર્મચારીઓ લીકર પરમીટના અરજદારો (Liquor Permit Holder) પાસેથી લાયસન્સ રિન્યુ કરવા પેટે દાનની રકમ રોકડમાં મેળવી લઈ તેને ઑનલાઈન દર્શાવી રૂપિયા બારોબાર ઘર ભેગા કરે છે. આ મામલે તપાસ કરતા છેલ્લાં ત્રણ મહિનામાં 9 પરમીટધારકો પાસેથી રિન્યુઅલ પેટે 20-20 હજારનું દાન રોકડમાં મેળવી લઈ તમામને પૈસા ભર્યાની પહોંચ આપી દીધી હતી. આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સિનિયર કલાર્ક કરશન વાઘેલા, આઉટસોર્સ કર્મચારી નવીન ડાભી અને વસંત નિનામા સામે ગુનો નોંધાયો છે.
શાહીબાગ પોલીસે આરોપીઓની તપાસ આરંભી
શાહીબાગ પોલીસે નિયર કલાર્ક કરશન સોનજી વાઘેલા (રહે. સિવિલ સ્ટાફ ક્વાટર્સ,ઘોડા કેમ્પ રોડ,શાહીબાગ), નવીન મંગળભાઈ ડાભી (રહે.સમતાનગર સોસા.,ડી કેબિન,સાબરમતી) અને વસંત નાનજીભાઈ નિનામા (રહે.ગુજરાત હાઉસિંગ બૉર્ડ, મેઘાણીનગર)ને અટકમાં લઈ તપાસ આરંભી છે. લીકર પરમીટધારક પાસેથી 1 લાખ 80 હજાર પડાવવાના ખેલમાં મુખ્ય સૂત્રધાર કોણ છે અને કોને કેટલાં રૂપિયા મળ્યા તેની જાણકારી મેળવવા પોલીસે તપાસ આરંભી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








