નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગર મેડિકલ કોલેજ (Bhavnagar Medical Collage)માં શારીરિક શોષણનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે ભાવનગર પોલીસે પણ કાર્યવાહીમાં અત્યંત વિલંબ કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે પોલીસે બે દિવસ પહેલા આરોપી તબીબ વિરુદ્ધ અટકાયતી પગલા હેઠળ કાર્યવાહી કરી જામીન મુક્ત કરતા વિવાદ વધુ ઘેરો બન્યો હતો. એવામાં ઘટનાના 8 દિવસ બાદ આરોપી તબીબ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
ભાવનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સાથે શારીરિક શોષણ (Sexual exploitation) થયાની ફરિયાદ કરી હતી. જેમાં પીડિત વિદ્યાર્થીએ આક્ષેપ લગાવ્યો હતો કે, કોલેજમાં જ અભ્યાસ કરતા તબીબ હરીશ વેગીએ તેને રૂમ પર બોલાવી તેનું શારીરિક શોષણ કર્યું હતું. આ મામલાની જાણ પીડિતે અન્ય વિદ્યાર્થીઓને કરતા વિદ્યાર્થીઓ પીડિતને લઈ ડીન સમક્ષ ફરિયાદ માટે પહોંચ્યા હતા. આ મામલે ડીન દ્વારા તપાસ કમિટિને તપાસ સોંપવામાં આવી હતી. સાથે જ પોલીસ ફરિયાદની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ પોલીસ ફરિયાદ કરવા એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચેલા વિદ્યાર્થીઓને કડવો અનૂભવ થયો હતો.
પોલીસ સ્ટેશનમાં પીડિત વિદ્યાર્થીની ફરિયાદ લેવાના બદલે હાજર પી. આઈ. દ્વારા સમજાવટ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવતા પી. આઈ. પણ વિવાદમાં સપડાયા હતા. પરંતુ આખરે હવે પોલીસે ઘટનાના 8 દિવસ બાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં IPC 377 અને 506 અંતર્ગત ગુનો નોંધી આરોપી હરીશ વેગી વિરુદ્ધ પગલા લેવાની શરૂઆત કરી છે. મળતી વિગતો મુજબ હાલ આરોપી તબીબ હરીશ વેગીને અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. સાથે જ આ મામલાની તપાસ DySP ડામોરને સોંપવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી હરીશ વેગીને બે દિવસ પહેલા પોલીસે અટકાયતી પગલા લઈ જામીન પર મુક્ત કર્યો હતો. આ સમયે પણ તેના જામીન બનેલા રસ્ટીકેટ વિદ્યાર્થીને લઈને પણ સવાલો પેદા થયા હતા. જામીન બનેલો વ્યક્તિ અગાઉ કોલેજમાં અભ્યાસ કરતો હતો દરમિયાન તેની પાસેથી પ્રતિબંધિત ડ્રગ મળી આવ્યો હોવાની ચર્ચા વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા. સાથે જ ચર્ચાઈ રહ્યું છે કે આ વિદ્યાર્થી પાસેથી ડ્રગ મળ્યો હોવા છતાં કોલેજના ડીન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી ન હતી. ઉપરાંત હાલ શારીરિક શોષણનો આરોપી અગાઉ પણ શોષણના આરોપથી ઘેરાયેલો હોવા છતાં ડીન દ્વારા તેને કોલેજમાંથી હાંકી કાઢવાની કાર્યવાહી કરવામાં આવતી નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796