Hooch Tragedy Bhavnagar : ભાવનગર લઠ્ઠાકાંડમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ઝેરી દારૂના કારણે એક પછી એક એમ 10 લોકોના મોત થઈ ગયા છે અને હજુ આ આંકડો વધશે કે અટકશે તે કહેવું મુશ્કેલ છે. ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન (Vartej Police Station) માં 19 તારીખ બુધવારના રોજ 21 શખસો સામે નોંધાયેલી ફરિયાદમાં 21 શખસોને આરોપી તરીકે દર્શાવાયા છે. પોલીસને હાથ લાગેલી દારૂની બોટલનું સેમ્પલ ચેક કરાવતા તેમાં અધધ 38.59 ટકા મિથેનોલ અને માત્ર 0.94 ટકા ઇથેનોલની માત્રા મળી આવી છે. જ્યારે મૃતકો અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના બ્લડ રિપોર્ટમાં મિથેનોલ અને ઇથેનોલના પ્રમાણમાં ભારે તફાવત સામે આવ્યો છે. આ કેસની તપાસ ચલાવી રહેલા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે (State Monitoring Cell investigating Liquor Tragedy Bhavnagar) આરોપીઓ મિથેનોલ ક્યાંથી અને કોની મદદથી લાવ્યા તેની તપાસ શરૂ કરી દીધી છે.
વરતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. બી. પઢેરીયા (S B Padheriya PI) એ સરકાર તરફે બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કેટલાંક આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયા છે અને કેટલાંકની શોધખોળ જારી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યાનુસાર ગૌતમ મધ્યપ્રદેશના રઈશને નકલી વિદેશી દારૂ બનાવવા માટે ભાવનગર લાવ્યો હતો. પ્રથમ વખતમાં આ ટોળકીએ 51 પેટી વિદેશી દારૂ બનાવી આસપાસના પ્યાસી તેમજ રિટેલ બુટલેગરોને વેચી માર્યો હતો. બીજી વખત દારૂ બરાબર નહીં બનતા તેનો નાશ કરી દેવાયો હતો. આથી રઈશે મધ્યપ્રદેશથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરને દારૂ બનાવવા માટે ભાવનગરના વરતેજ ખાતે બોલાવ્યો હતો. દારૂ બનાવવા માટેનું કેમિકલ, એસેન્સ, ખાલી બોટલો, ઢાંકણા, સ્ટિકર સહિતનો મુદ્દામાલ અમદાવાદ ખાતેથી ટ્રાન્સપોર્ટમાં મગાવ્યો હતો.
નરેન્દ્ર યાદવ ઉર્ફે ડૉક્ટરે સારસ, ગણેશ અને અમન સાથે મળીને 25 પેટી દારૂ બનાવ્યો હતો. 25 પેટી પૈકી 24 પેટી નકલી દારૂનું અલગ અલગ બુટલેગરોને વેચાણ કરી દેવામાં આવ્યું હતું. 18 ઓગસ્ટના મંગળવારના રોજ ઝેરી દારૂ બનાવનારા નરેન્દ્ર યાદવ ઉર્ફે ડૉક્ટરનું મોત થાય છે અને ત્યારબાદ એક પછી એક આંકડા સામે આવવા લાગે છે. ભાવનગર જિલ્લા પોલીસ લઠ્ઠાકાંડને લઈને હરકતમાં આવે ત્યારે મોડું થઈ જાય છે. પોલીસ તપાસ દરમિયાન મળી આવેલી દારૂની બોટલમાં લગભગ ચાલીસ ટકા એટલે કે નર્યો મિથેનોલ ભરેલો હોવાનું સામે આવ્યું છે.








