નવજીવન ન્યૂઝ, ડેસ્ક : અમરેલી જિલ્લાના લાઠી નજીક ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત (Three killed in road accident in Lathi Amreli) નિપજ્યા છે. આ કરૂણ ઘટનાની વચ્ચે મૃતદેહોને ઘટનાસ્થળેથી જે સ્થિતિમાં લઈ જવા પડ્યા તે વધુ દુઃખદાયી પરિસ્થિતિ હતી. અમરેલી જિલ્લામાં બબ્બે સાંસદ અને લાઠીમાં અનેક ઉદ્યોગપતિઓ હોવા છતાં શબવાહિનીનો અહીં અભાવ (Lack of hearse in Lathi Amreli) છે. આ કારણોસર લોકોને ટ્રેક્ટર-ટ્રોલીનો ઉપયોગ શબવાહિનીના વિકલ્પ તરીકે કરવો પડે છે.
લાઠી પાસે થયેલા અકસ્માતમાં મહિલા સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા બાદ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ લઈ જવાના હતા. આ સમયે શબવાહિનીની ઉપલબ્ધતા નહીં હોવાથી મૃતકના પરિવારજનોએ ટ્રેક્ટર-ટ્રોલીનો સહારો લીધો હતો. અમરેલી જિલ્લામાં બબ્બે સાંસદ હોવા છતાં આ સ્થિતિ હોવાના પગલે સ્થાનિક લોકોએ આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ ઠાલવ્યો છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય જનક તળાવીયા જેવા નેતાઓ પ્રજાને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં ઉણા ઉતર્યા છે.








