નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને તેના કોઈ પુરાવા આપવાની જરૂર નથી. રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હંમેશા દારૂબંધીના દાવાઓ કરતા આવ્યાં છે, પરંતુ ભાજપના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava MP BJP) એ એક પત્ર લખીને રાજકારણ ગરમાવી દીધું છે. મનસુખ વસાવાના લેટર બૉમ્બ (Mansukh Vasava Letter Bomb) માં નર્મદા જિલ્લામાં કેવી રીતે દારૂ ઘૂસાડવામાં આવે છે અને પોલીસ તેમજ રાજકીય આગેવાનોની મીલીભગતથી આખું રેકેટ ચલાવવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે.
સાંસદ મનસુખ વસાવાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi Dy CM) ને લખેલા પત્રમાં દારૂની હેરાફેરીના આખા રૂટ અને મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, “પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદ પરથી નર્મદા જિલ્લામાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર બોર્ડરથી લઈને દારૂ સપ્લાયના આખા રૂટમાં જેટલાં પણ પોલીસ સ્ટેશન આવે છે તે તમામના પીએસઆઈની આ કાળા કારોબારમાં સીધી સંડોવણી છે. આ સમગ્ર નેટવર્કમાં આમલેથા પોલીસ સ્ટેશનની ભૂમિકા સૌથી ખાસ અને શંકાસ્પદ હોવાનો સાંસદે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. નર્મદા જિલ્લામાં ઘુસાડવામાં આવેલો આ વિદેશી દારૂનો જથ્થો ત્યાંથી આગળ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી બેરોકટોક મોકલવામાં આવે છે.”
નર્મદા પોલીસના કેટલાંક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના નામ પણ પત્રમાં લખીને ગૃહમંત્રીને મોકલ્યા છે. આ ઉપરાંત આ બાબતનો એક પત્ર તેમણે નર્મદા જિલ્લા પોલીસ વડા (SP Narmada) ને રૂબરૂ મળીને પણ સોંપ્યો છે અને પુરાવા સાથે આ નેટવર્ક તોડી પાડવા જણાવ્યું છે.








