નવજીવન ન્યૂઝ, સુરત : ભેળસેળ યુક્ત તેમજ જીવને જોખમમાં મુકે તેવા ખાદ્ય પદાર્થો બજારમાં ઠેર-ઠેર વેચાય છે. છેલ્લાં કેટલાંક સમયમાં પકડાયેલા નકલી દૂધના ટેન્કર, પનીરનો જથ્થો, ઘીના ડબ્બા તેમજ મસાલા સહિતના કૌભાંડો બાદ રાજ્ય સરકારે સુરતમાં 50 કરોડના ખર્ચે અત્યાધુનિક ફૂડ એન્ડ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબૉરેટરી બનાવવા મંજૂરી આપી છે. આ લેબમાં માત્ર ખાદ્ય પદાર્થો જ નહીં પરંતુ નકલી દવાઓની પણ તપાસ કરાશે. અત્રે નોંધનીય છે કે, 82 કરોડના ખર્ચે બનેલી વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબૉરેટરી (FDTL Vadodara) એશિયાની સૌથી મોટી લેબ્સ છે. આમ છતાં રાજ્યમાં ભેળસેળિયા પદાર્થો ઠેર-ઠેર અને ખુલ્લેઆમ વેચાય છે.
દૂધમાં યુરિયાની હાજરી સેકન્ડોમાં જાણી શકાશે
ભેળસેળિયું દૂધ હોય કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ તેને ગણતરીની મિનિટોમાં ચકાસી લેવા માટે સુરત શહેર (Surat City) ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબૉરેટરી બનાવવામાં આવનારી છે. ગુજરાત સરકારે (Gujarat Government) 50 કરોડના ખર્ચે આ આધુનિક ફૂડ એન્ડ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબૉરેટરી બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ લેબમાં માત્ર ખાદ્ય પદાર્થો જ નહીં, પરંતુ નકલી દવાઓની પણ તપાસ થઈ શકશે. અત્યાર સુધી દૂધમાં યુરિયાની મિલાવટ તપાસવા લાંબી પ્રક્રિયા કરવી પડતી હતી, પરંતુ આ લેબમાં સેકન્ડોમાં જ સચોટ રિપોર્ટ જાણી શકાશે.
નકલી દવા અને ખાદ્ય પદાર્થનો રિપોર્ટ બે સપ્તાહમાં
રાજ્યમાં ખાદ્ય પદાર્થો જ નહીં, પરંતુ દવાઓમાં પણ ભેળસેળના કિસ્સાઓ ચિંતાનો વિષય બની ગયા છે. પ્રતિષ્ઠીત કંપનીઓના નામે નકલી દવાઓ અને કફ સીરપ બજારમાં વેચાઈ રહી છે. આ હાઈટેક લેબમાં ડ્રગ્સના ટેસ્ટિંગ માટે ખાસ સાધનો વસાવવામાં આવશે. જો કોઈ દવા ડુપ્લીકેટ હશે અથવા તેમાં નિયત માત્રા કરતા અલગ તત્વો હશે, તો તેનો સચોટ રિપોર્ટ મળશે. Food and Drugs Testing Laboratory માત્ર સુરત શહેર પૂરતી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે આશીર્વાદરૂપ બનશે. ખોરાક અને દવાઓના ટેસ્ટિંગ માટે 14 દિવસની અંદર તમામ રિપોર્ટ આપી દેવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અત્યાર સુધી ઘણાં સેમ્પલ વડોદરા કે અન્ય જગ્યાએ મોકલવા પડતા હતા.








