મુખ્ય મુદ્દા:
અરવલ્લીના માલપુરમાં પોલીસની મોટી કાર્યવાહી, ફોર્ચ્યુનર કારમાંથી ₹૮.૨૮ લાખનો પોશડોડાનો જથ્થો જપ્ત.
પોલીસને ગેરમાર્ગે દોરવા કાર પર શાસક પક્ષ ભાજપનો ‘કમળ’ પટ્ટો લટકાવ્યો હોવાનું સામે આવ્યું.
પોલીસને જોઈ ડ્રાઈવર ગાડી મૂકીને અંધારામાં ફરાર, પોલીસે કુલ ₹૨૮.૨૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
નવા SP મનોહરસિંહ જાડેજાના કડક વલણ બાદ જિલ્લામાં નશાના કારોબારીઓ પર તવાઈ.
નવજીવન ન્યૂઝ, અરવલ્લી (જય અમીન): અરવલ્લી જિલ્લામાં નશાના કારોબારીઓ બેફામ બન્યા છે અને ગુજરાતના યુવાધનને બરબાદ કરવા નિતનવા કીમિયા અપનાવી રહ્યા છે. પરંતુ નવા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના આગમન બાદ જિલ્લા પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. માલપુર પોલીસે એક એવી ફોર્ચ્યુનર કારને ઝડપી પાડી છે, જેમાં પોલીસને ચકમો આપવા માટે ‘કમળ’નો પટ્ટો લટકાવીને પોશડોડાની હેરાફેરી કરવામાં આવી રહી હતી.
પોલીસને ચકમો આપવા ‘કમળ’નો સહારો
ગુજરાતમાં હાલ લક્ઝુરિયસ ગાડીઓ પર રાજકીય પક્ષોના ખેસ કે પટ્ટા લગાવીને રોફ જમાવવાનો અને પોલીસની કાર્યવાહીથી બચવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કેટલાક અસામાજિક તત્વો આ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો માલપુરમાં સામે આવ્યો, જ્યાં નશાના કારોબારીએ ફોર્ચ્યુનર જેવી મોંઘી ગાડી પર ભાજપનો કમળ પટ્ટો લટકાવ્યો હતો, જેથી પોલીસ સામાન્ય રીતે વાહન રોકે નહીં અને તેઓ આસાનીથી નશાનો જથ્થો પાર પાડી શકે.
પોલીસને જોઈ ડ્રાઈવર ગાડી મૂકી ફરાર
માલપુર PI કિરણ દરજી અને તેમની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેમને બાતમી મળી હતી કે માલપુરના અંતરિયાળ ગ્રામ્ય માર્ગો પરથી પોશડોડા ભરેલી એક ફોર્ચ્યુનર ગાડી પસાર થવાની છે. બાતમીના આધારે પોલીસે મસાદરા ગામના માર્ગો પર વોચ ગોઠવી હતી. પોલીસ જીપને દૂરથી જોતા જ ફોર્ચ્યુનર ચાલકના હોશકોશ ઉડી ગયા હતા. તેણે ગાડી કાચા રસ્તા પર ઉતારી દીધી અને થોડે દૂર જઈને ગાડીને બિનવારસી હાલતમાં મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.
માલપુર પોલીસે ફોર્ચ્યુનરની તલાશી લેતા, અંદર કાળા કોથળાઓમાં છુપાવેલો ૨૭૬ કિલોગ્રામ પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹૮.૨૮ લાખ થવા જાય છે. પોલીસે પોશડોડા અને ફોર્ચ્યુનર કાર મળીને કુલ ₹૨૮.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી, ફરાર અજાણ્યા ચાલક વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








