નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીનાં ભણકારા વાગી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. એક બીજા ઉપર પ્રહારો કરવા અને પોતાના પક્ષને બીજા કરતાં સારો ગણાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી માટેની નિરીક્ષક તરીકેની જવાબદારી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતને સોંપવામાં આવી છે. આજે જ્યારે તેઓ અમદાવાદ આવ્યા છે ત્યારે રાજસ્થાનથી કેટલાક બેરોજગારો પદયાત્રા કરીને અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે આવી પહોચ્યા છે.
આ બેરોજગારો રાજસ્થાનથી અમદાવાદ કેમ આવ્યા?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા રોજગારીને લગતા કેટલાક વચનો આપ્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે તેમ છતાં લોકોને રોજગારી નથી મળી રહી તેવા આક્ષેપો સાથે રાજસ્થાનથી 100 જેટલા યુવકો પદયાત્રા કરીને ગુજરાત પહોંચ્યા છે અને અમદાવાદમાં પાલડી ખાતે આવેલા કોંગ્રેસનાં પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવનનો ઘેરવ કર્યો હતો. જોકે પોલીસની પરવાનગી ન હોવાને કારણે આ યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે શું વચન આપ્યા?
2022માં કોંગ્રેસની સરકાર બનશે તો 2004 બાદ નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના મુજબ પેન્શનનો લાભ આપવામાં આવશે. રાજસ્થાનની જેમ જ ગુજરાતમાં પણ ગરીબ નાગરિકો માટે જમવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે, જેમાં ગરીબોને 8-8 રૂપિયામાં બંને ટાઈમ જમવાનું આપવામાં આવશે. જ્યારે બેરોજગાર યુવાનો માટે શહેરી વિસ્તારમાં 365 દિવસમાંથી 100 દિવસ રોજગારી પણ આપવામાં આવશે.








