નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસની છે. જ્યારે પણ કોઈ ખરાબ કામ થાય ત્યારે આરોપીઓને પકડવાની જવાબદારી પણ પોલીસની છે, પરંતુ જ્યારે પોલીસ ન્યાય કરવાની શરૂઆત કરી દે છે ત્યારે તેમની કામગીરી ઉપર ચોક્કસ સવાલો ઊભા થાય છે. તાજેતરમાં ખેડામાં ગરબા કાર્યક્રમ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ગણતરીના સમયમાં જ આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા તે સરહનીય બાબત છે, પરંતુ પોલીસ દ્વારા આરોપીઓને પકડીને જાહેરમાં માર મરવામાં આવ્યો હતો આ વાતની ટીકા થઈ રહી છે.
ખેડામાં માતરમાં ગરબા દરમિયાન કેટલાક અસમાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ લોકોને પોલીસ દ્વારા ગણતરીના સમયમાં જ પકડી લેવામાં આવ્યા હતા અને જાહેરમાં તેમને માર મરવામાં આવ્યો હતો. પોલીસ જ્યારે કોઈ પણ આરોપીને પકડે છે તો તેને સજા આપવાનું કામ ન્યાયપાલિકાનું છે. પણ ખેડાના આ કિસ્સામાં આવું બન્યું નહીં. પોલીસે જાતે જ આરોપીઓને સજા આપી અને જાહેરમાં તેમને માર માર્યો. આવી ઘટનામાં સ્વાભાવિક રીતે માનવાધિકાર સાથે સંકળાયેલા લોકો સામે આવે અને પોલીસની આ કામગીરી સામે સવાલો ઊભા કરે છે.
આજે ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક નિવેદન આપ્યું છે કે, માત્ર પથ્થર મારવા વાળા માટે જ કેમ માનવાધિકારની વાત કરવામાં આવે છે. જેમને પથ્થર વાગ્યા તેમના માટે કોઈ માનવાધિકાર નથી? શું આપણાં ગામમાં ગરબા ન રમી શકાય, અને તમને ના ગમે એટલે પથ્થર મારવાનો હક મળી ગયો છે? તો દર વખતે પથ્થર મારવા વાળા લોકો માટે જ કેમ માનવાધિકારની વાત આવે છે. આ વિચારવાનો સમય હવે આવી ગયો છે. હું યુવાનોને વિનંતી કરૂ છું કે આ પ્રકારની ખોટી વાતો સામે તમામે જવાબ આપવો.”
તો હવે સવાલ અહીયાં એવો થાય છે કે શું માનવાધિકારની વાત કરવા વાળા લોકોએ પથ્થર મારવાની વાતને સમર્થન કર્યું હતું? તો જવાબ છે ના. આ લોકો માત્ર પોલીસની કામગીરી કે જે ગેરકાયદેસર છે તેની સામે સવાલ ઉઠાવે છે. ન્યાય પ્રણાલી મુજબ પથ્થર મારવા વાળા લોકોને યોગ્ય સજા થવી જ જોઈએ તેમાં કોઈ વિરોધ નથી. પણ જ્યારે પોલીસ જ કાયદાનું પાલન ન કરે અને આવી રીતે જાહેરમાં આરોપીઓને માર મારે ત્યારે ગૃહ રાજ્યમંત્રી પોલીસને ઠપકો આપવાની જગ્યાએ આવા નિવેદનો કરે છે ત્યારે તેમનો અંગત ગમો-અણગમો પણ સામે આવે છે.








