નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી 36નું હોય એમ અવારનવાર નારાજગીનો દૌર રહ્યો છે. રોજગારીને લઈને કે ભરતીની પ્રક્રિયાને લઈને દેશના યુવાનોને અવારનવાર રસ્તા પર ઉતરી આંદોલનોનો સહારો લેવો પડ્યો છે. આવી જ રીતે ગુજરાતના MBBSના વિદ્યાર્થીઓ નારાજ થયા છે અને તેમણે પણ હવે સરકાર સામે બાંયો ચઢાવી છે.
વિદ્યાર્થીઓ આખરે કેમ થયા નારાજ ? / શું છે વિદ્યાર્થીઓની નારાજગી
તાજેતરમાં સરકારે મેડિકલમાં પ્રવેશ ક્વોટા માટેના નિર્ણયની નોટિફિકેશન બહાર પાડી હતી. જે પ્રમાણે 12માં ધોરણ પછી પી.જી. કાઉન્સિલિંગ દરમિયાન વિદ્યાર્થીએ પ્રવેશ મેળવી લીધા પછી બીજા રાઉન્ડ દરમિયાન ખાલી પડેલી બેઠક પર બહારના રાજ્યના વિદ્યાર્થીઓને પોતાના રાજ્યમાં અને ગુજરાત એમ બન્ને રાજ્યોમાં 100 ટકા બેઠકો પર પ્રવેશ મળશે. સરકારના આ નિર્ણયથી MBBSના વિદ્યાર્થીઓ નારાજ થયાં હતા. વિદ્યાર્થીઓની દલીલ હતી કે, આ નિર્ણયથી ગુજરાતમાં ભણેલાં વિદ્યાર્થીઓ રખડી પડશે જે અન્યાય છે. આથી ગુજરાત એમબીબીએસ સ્ટુડન્ટ એસોસિએશને બાંયો ચઢાવીને હાઇકોર્ટમાં સરકારના આ નિર્ણયને ગેરકાયદે ગણાવીને પડકાર્યો છે.
અરજીમાં વિદ્યાર્થીઓની શું છે રજૂઆત
ગુજરાત એમબીબીએસ સ્ટુડન્ટ એસોસિએશને હાઈકોર્ટમાં જે અરજી કરી છે તેમાં એમની એવી રજૂઆત છે કે, જે વિદ્યાર્થીઓએ વર્ષ-2022-23માં એમબીબીએસમાં પ્રવેશ લીધો છે તેમને અભ્યાસ પૂર્ણ થાય ત્યારે એટલે કે થોડા વર્ષો પછી સરકારના આ નિર્ણયની અસર થઇ શકે છે. જો કે, સરકારે પ્રવેશ પહેલાં આ જાહેરાત કરી નથી.
હાઈકોર્ટે શું પગલાં લીધાં ?
ગુજરાત એમબીબીએસ સ્ટુડન્ટ એસોસિએશનના વકીલ અસીમ પંડયાની દલીલો અનુસાર મેડિકલમાં પ્રવેશ માટેના નિયમો પ્રમાણે પી.જી. મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા 15 સપ્ટેમ્બરે શરૂ થયા બાદ 19 સપ્ટેમ્બરે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. જેમાં 50 ટકા સ્ટેટ ક્વોટામાં બહારના રાજ્યના વિદ્યાર્થીને પ્રવેશ અપાશે. જો કે, પ્રવેશ પ્રક્રિયા બાદ સરકારનો આ નિર્ણય ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અન્યાયી છે. વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે સરકારને નોટિસ પાઠવી છે અને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. તેમજ આ અંગે મંગળવારે વધુ સુનાવણી હાથ ધરાશે.
મેડિકલમાં હાલ પ્રવેશની પ્રકિયા ચાલી રહી છે, ત્યારે તે સમયે જો આ સમગ્ર મામલે ન્યાય કરીને સરકારનો નિર્ણય રદ કરાય તેવી ગુજરાત એમબીબીએસ સ્ટુડન્ટ એસોસિએશનની માગ છે.








