નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં 10 દિવસ અગાઉ સણીયા-હેમાદ ગામમાં આવેલા કાપડના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં આગ ફાટી નીકળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. એક કલાક સુધી ભારે જહેમત બાદ આગ પર કાબુ મળ્યો હતો. સમગ્ર આગના બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે.
સુરતના સણીયાહેમાદ ગામમાં શુભમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-2 માં કાપડનું ગોડાઉન ધરાવતા અશ્વીનભાઇ જીવરાજભાઇ રૈયાણીના ગોડાઉન પર વહેલી સવારે 5 વાગે આગની ઘટના બની હતી. આગની ગંભીરતાના કારણે પુણા, ડુંભાલ અને કાપોદ્રા ફાયર સ્ટેશનથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આગના કારણે ગોડાઉનમાં લાખોની કિંમતનો કાપડનો જથ્થો આગમાં બળી ગયો હતો. અંદાજીત 78 લાખની નુકશાની થઈ હતી. સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
પોલીસે ગોડાઉનમાં લાગેલી આગની તપાસ માટે સીસીટીવી ચેક કરતા આગ લાગી નહીં પરંતું લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આગ લગાવનાર બીજી કોઈ નહીં પણ અહીં પહેલા કામ કરનારો કારીગર જ હતો. જેનું નામ એજાજ અહેમદ છે. આગ લગાવી તેના ત્રણ દિવસ પહેલા જ વતન જવાનું કહીને નોકરીમાંથી જતો રહ્યો હતો. જતી વખતે તેણે પગાર ઉપરાંત ઉપાડના 10 હજાર માંગણી કરી હતી. પરંતું તેને 5 હજાર જ આપતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને વહેલી સવારે ગોડાઉનમાં આવીને પ્રોસેસ સ્ટોક પર જ્વલનસિલ પ્રવાહી છાંટીને આગ ચાંપી દીધી હતી.








