નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરતમાં દારૂબંધી હોવા છતાં એક મહિના પહેલા બોટાદ જિલ્લાના રોજીદ ગામમાં કેમિકલ યુક્ત દેશી દારૂના કારણે ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે અનેક લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડ્યા હતા. આ સમગ્ર કેસમાં સરકાર દ્વારા પોતાની શાખ સાચવવા માટે દોષનો ટોપલો પોલીસના માથે નાખી દેવામાં આવ્યો હતો અને નાનાથી લઈને મોટા પોલીસ અધિકારીઓની બદલીથી લઈને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં સરકાર દ્વારા લેવામાં આવ્યા હતા.
ત્યાર બાદ આ કેસની તપાસ તટસ્થ IPS નિર્લિપ્ત રાયને આ તપાસ સોંપીને સરકાર દ્વારા જલ્દી આ કેસનો નિવેડો લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. નિર્લલિપ્ત રાયના હાથમાં તપાસ આવતા જ તેમણે આ કથિત લઠ્ઠાકાંડ માટે કેમિકલ આપવા વળી AMOS કંપનીના માલિક અને ડાયરેક્ટર્સને સકંજામાં લીધા હતા અને તેમને હજાર થવાનો હુકમ નિર્લિપ્ત રાયે કર્યો હતો. આ ઉપરાંત જ્યારે AMOS કંપનીના માલિક સમીર પટેલ જ્યારે હજાર ન થયા ત્યારે તેમની સામે લુક આઉટ નોટિસ પણ આપી દેવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં આરોપીઓ સામે IPC 304 એટ્લે કે સાપરાધ મનુષ્યવધ જેવી ગંભીર કલમ ઉમેરવામાં આવી છે, જેના કારણે પ્રાથમિક રીતે તેમના આગોતરા જામીનની અરજી ફગવવામાં આવી હતી, પરંતુ હવે આજે અહેવાલ સામે આવી રહ્યા છે કે ગુજરાત હાઈ કોર્ટ દ્વારા સમીર પટેલ સહિત AMOS કંપનીના ડાયરેક્ટર્સને વચગાળાના જમીન આપી દેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, AMOS કંપનીના માલિક સમીર પટેલ સહિત તમામ ડાયરેક્ટર્સ દ્વારા આ કથિત લઠ્ઠાકાંડમાં મૃતકોને 3 લાખ અને જેમને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા તમામને 1 લાખ વળતર ચૂકવવાની તૈયારી પણ દર્શાવી છે. ગુજરાત હાઈ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે 12 સપ્ટેમ્બર સુધી એટલે કે જ્યાં સુધી આ ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી આરોપીઓની ધરપકડ ઉપર રોક લગાવી દીધી છે.








