નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી લક્ષી કાર્યક્રમો કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આજે રાજકોટમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારોને સંબોધન કર્યું હતું અને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા, જોકે જાણતા અજાણતા પણ અર્જુન મોઢવાડિયાએ દિલ્હીની AAP સરકારના વખાણ પણ કર્યા હતા.
અર્જુન મૂઢવાડિયાએ જણાવ્યુ હતું કે, “ગુજરાતની ભાજપ સરકાર દારૂની અને ઉદ્યોગપતિઓની આવક વધારવામાં જ માને છે, અમે ગુજરાતની પ્રજા માટે કામ કરવા સંકલ્પ પત્ર રજૂ કર્યું છે. જેમાં ફાઇવ સ્ટ્રાર કક્ષાની આરોગ્ય સેવાઓ આપીશું, જે હાલમાં દિલ્હીમાં ઉપલબ્ધ છે. અમે ગુજરાતનાં આરોગ્ય ક્ષેત્રને વિશ્વ કક્ષાએ લઈ જવા માગીએ છે. 2022માં કોંગ્રેસની સરકાર બન્યા બાદ અમે ગુજરાતનાં નાગરિકોને ફાઇવ સ્ટાર કક્ષાની સરકારી હોસ્પિટલ આપીશું.”
આ ઉપરાંત તેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતાઓને લઈને કહ્યું હતું કે, “જે લોકો કોંગ્રેસનાં બેનર નીચે જીતી નથી શક્યા તે હવે ભાજપના ધારાસભ્યોને જિતાડવાની વાત કરે છે.” આ ઉપરાંત લલિત વસોયાની ભાજપના નેતાઓ સાથે હાજરી અંગે તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યુ હતું કે, “કોઈ કાર્યક્રમમાં અન્ય પાર્ટીના નેતાઓ સાથે ઉપસ્થિત રહેવાથી કઈ થતું નથી. અગાઉ હું પણ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ સાથે કાર્યક્રમોમાં ગયો છું, તેનાથી કઈ ન થાય.”
અર્જુન મોઢવાડિયાએ બાદમાં જણાવ્યુ હતું કે, “2022માં કોંગ્રેસની સરકાર બન્યા બાદ ગુજરાતના નાગરીકોને ગુણવત્તાયુક્ત સારવાર આધુનિક સરકારી કે ખાનગી હોસ્પિટલમાંથી મેળવી શકે તે માટે દરેક નાગરીકનો રૂ.10 લાખ સુધીનું વિમા કવચ આપીને દરેક માન્ય હોસ્પિટલોમાં રૂ.10 લાખ સુધીની સારવાર વિનામુલ્યે આપવામાં આવશે. જીલ્લા કક્ષાની હોસ્પિટલમાં ગંભીર પ્રકારના રોગની વિનામુલ્યે સારવાર કરવામાં આવશે. હૃદય રોગ, કીડની, કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર અત્યારે માત્ર મોટા શહેરોમાં ઉપલબ્ધ છે. કોંગ્રેસની સરકાર તમામ જીલ્લા કક્ષાની હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરો સાથેના આ પ્રકારના ગંભીર રોગોના વોર્ડ શરૂ કરીને સારવાર વિનામુલ્યે ઉપલબ્ધ કરાવશે.”








