નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 20થી વિવિધ માગણીઓને લઈને તલાટી મંડળ હડતાળ પર ઉતર્યા હતા. 2 ઓગસ્ટથી શરૂ થયેલી હડતાળનો આજે અંત આવ્યો છે. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે થયેલી મિટિંગ બાદ બાંહેધરી આપતા હડતાળ સમેટાઈ ગઈ હતી. સરકાર દ્વારા તલાટી મંડળની 5માંથી 4 માગ સ્વીકારવામાં આવતા હાલ હડતાળ મોકૂફ રાખવામાં આવી છે.
ગુજરાતના તલાટી મંડળ દ્વારા પોતાની પડતર માગણીઓને લઈને સરકાર સામે 2 ઓગસ્ટથી હડતાળ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા 20 દિવસથી તલાટી મંડળ હડતાળ પર બેસતા ગ્રામ પંચાયતનો વહીવટ ખોરવાયો હતો. આ હડતાળને અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના રાજ્યભરના તલાટીએ ટેકો આપ્યો હતો. હડતાળમાં રાજ્યના 8 હજારથી વઘુ તલાટીઓ જોડાયા હતા.
તલાટી મંડળની માગણીઓને લઈને પંચાયત મંત્રી સાથે બેઠક કરવામાં આવતા પડતર માગના મુદ્દાઓનો ઉકેલ આવ્યો હતો. સરકાર દ્વારા તલાટી મંડળની 5માંથી 4 માગ સ્વીકારવામાં આવી છે. જ્યારે એક માગ માટે સરકારે કમિટિ બનાવવામાં આવશે. તલાટી મંડળની માગણી હતી કે, તલાટીઓને ઉચ્ચ પગાર ધોરણના લાભ આપવા આવે, રેવન્યુ તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવામાં આવે, 2004-05 પછીના તમામ તલાટીઓની નોકરી સળંગ ગણવી, રેવન્યુને મર્જ કરવા અથવા જોબ ચાર્ટ અલગ કરવામાં આવે.








