નવજીવન ન્યૂઝ. મથુરાઃ ઉત્તર પ્રદેશના મથુરામાં જન્માષ્ટમી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે મંદિરે પહોંચેલા બે લોકોનું ભીડના કારણે શ્વાસ રૂંઘાવાના કારણે મોત થયું છે. જ્યારે 6 શ્રદ્ધાળુઓની તબિયત લથટી હતી. જેમને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. આ ઘટના બાંકે બિહારીમાં ત્યારે બની જ્યારે ત્યાં કૃષ્ણ જન્મજયંતિની ઉજવણી ચાલી રહી હતી.
મથુરાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “જનમાષ્ટમીના શુભ અવસર પર અચાનક લોકોનો ધસારો જોવા મળ્યો હતો. મંગલા આરતીના સમયે પણ ઘણા લોકો મંદિર પરિસરમાં ઘૂસી ગયા હતા, જેના કારણે ત્યાં ભારે ભીડ હતી. આ ભીડને કારણે બે લોકો શ્વાસ રૂંધાઈ ગયા અને મૃત્યુ પામ્યા હતા”. જણાવી દઈએ કે મથુરાને ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ માનવામાં આવે છે.
મથુરાના બાંકે બિહારી મંદિરમાં મંદિરના પ્રાંગણમાં એકસાથે 800 લોકો આવી છે. આ મંદિરમાં વર્ષમાં એકવાર કૃષ્ણ જન્મ વખતે આરતી થાય છે. જન્માષ્ટીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો આવી જતા ગૂંગળામણ શરૂ થઈ હતી. જેના કારણે નોઈડાના સેક્ટર 99માં રહેતી નિર્મલા દેવી અને વૃંદાવનની ભુલેરામ કોલોની રૂકમણી વિહારના રામપ્રસાદ વિશ્વકર્માની તબિયત લથડી હતી. જેથી તેમને હોસ્પીટલ લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં જ બંનેનું મોત નિપજ્યું હતું. કાર્યક્રમ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરની મુલાકાત લીધી હતી. યોગી આદિત્યનાથે કહ્યું, “ભગવાન કૃષ્ણ આજથી લગભગ 5,000 વર્ષ પહેલા આ ધરતી પર આવ્યા હતા અને તેમની ‘લીલા’ આજે પણ દેશ અને દુનિયાના દરેક ભાગમાં ઉજવવામાં આવે છે.”








