વિજયસિંહ સોલંકી (નવજીવન ન્યૂઝ.દાહોદ): ઉગતા સૂરજની ભૂમિ તરીકે ઓળખાતો અને આદિવાસી સમાજની બહોળી વસ્તી ધરાવતા દાહોદ જિલ્લામાં હોળી-અને ધૂળેટીનો તહેવાર ભારે રંગેચંગે ઉજવાય છે.અહીંયા ગ્રામીણ વર્ગ હોળી-ધુળેટીના તહેવારને અન્ય તહેવારો કરતા વધારે ધામધૂમથી મનાવે છે. જિલ્લામાં હોળીના તહેવાર સમયે ભરાતા ચુલના મેળાઓનુ અનોખું અને આગવું મહત્વ છે. ઝાલોદ તાલૂકાના રણીયાર ગામે ભરાયેલા ચુલના મેળાની પરંપરા પ્રમાણે લોકો અગ્નિ પર ચાલ્યા હતા.

આદિવાસી સમાજમાં હોળી અને ધુળેટી ઉપરાંત ચૂલના મેળા નું એક આગવું મહત્વ છે. ત્યારે દાહોદના આદિવાસીઓમાં હોળી સામાન્ય રીતે એક મહિનાની હોય છે. ડાંડા રોપણી પૂનમથી શરૂ થયેલી હોળી એક મહિના સુધી એટલે કે ફાગણી પૂનમ સુધી ચાલે છે. હોળીનો દાંડો રોપાઈ ગયા બાદ રોજ સાંજે ગામના અગ્રણીઓ સહિત વડીલો અને સ્ત્રીઓ ભેગા થાય છે. તે જગ્યાએ જઈને ઢોલ નગારા વગાડીને સામૂહિક રીતે નાચ- ગાન કરે છે, ભારે હર્ષોલ્લાસ મનાવે છે. તેમજ દાંડો રોપ્યો હોય તે જગ્યાએ છાણામાં ભેજ કેટલો વળ્યો છે તે પ્રમાણે વર્ષ કેવું જશે તેની આગાહી કરવામાં આવે છે. જિલ્લાના ઝાલોદ તાલુકાના રણીયાર ગામે ભરાયેલા ચૂલના મેળામાં મોટી સંખ્યામા લોકો આવ્યા હતા. બાધા- માનતા લઈને ઉપવાસ કરી હતી. લોકો આ મેળામાં આવીને પોતાની બાધા પૂર્ણ કરવા મેળાની પરંપરા પ્રમાણે પ્રજ્વલિત અગ્નિ ઉપર ચાલે છે કે જેનાથી કોઈપણ પ્રકારનો રોગ નહીં થાય, તેમજ અગાઉ થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય અને અનેક રોગોથી છુટકારો મળે એવી ખાસ માન્યતા જોડાયેલી છે. હોળી બાદ તેઓ સામાજિક પ્રસંગો, લગ્ન પ્રસંગ કે પછી કોઈપણ સારા કામની શરૂઆત કરે છે.
આદિવાસી સંશોધક અને ઇતિહાસના પ્રોફેસર ડો. ગણેશ નિસરતા જણાવે છે કે “ટીટોડીના ઇંડા ટેકરા ઉપર છે કે નદીના પટ ઉપર છે તેના ઉપરથી બેસતુ ચોમાસુ કેવું જશે તેની આગાહી થાય છે, જો ઈંડા એક જ દિશામાં હોય તો ચોમાસાના પૂરેપૂરા ચાર મહિના વરસાદ પડશે તે નક્કી થાય છે, જ્યારે આડા-અવળા હોય તો માન્યતા પ્રમાણે વરસાદ પૂરો પડશે કે ઓછો રહેશે તે નક્કી કરવામાં આવે છે, તે મુજબ હોળીમાં પણ આગલું વર્ષ કેવું જશે તે નક્કી કરવાની માન્યતા આદિવાસી સમાજમાં આજે પણ છે”
![]() |
![]() |
![]() |











