Husband kills wife in Keshod Junagadh : જૂનાગઢના કેશોદમાં ઘરકંકાસમાં હત્યા અને આપઘાતનો ચકચારી બનાવ સામે આવ્યો છે. કેશોદની સુમન સોસાયટીમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા મામલો પોલીસ પાસે પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેશોદ તાલુકાના શેરગઢ ગામના વતની અને કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા ગીરીશભાઈ બાલશ (ઉ.27)એ વેરાવળ-બાંદ્રા ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. રેલવે પોલીસે મૃતકની ઓળખ મેળવ્યા બાદ તેના મોબાઈલ ફોનની તપાસ હાથ ધરી હતી. મોબાઈલમાં પત્નીની હત્યા કર્યાનો વીડિયો મળી આવતા રેલવે પોલીસે તાત્કાલિક કેશોદ પોલીસને જાણ કરી હતી. કેશોદ પોલીસે સુમન સોસાયટી ખાતે મૃતકના ઘરે તપાસ કરતા વિજયાબહેન ઉર્ફે વિપુલાબહેન ગીરીશભાઈ બાલશનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાના પગલે કેશોદ પોલીસે મૃતક સામે હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી છે. પ્રાથમિક તપાસમાં હત્યા-આત્મહત્યા માટે ઘરકંકાસ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મૃતક દંપતીનું લગ્નજીવન ચારેક વર્ષનું છે.








