નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ‘તે મને મારી નાખવાની ધમકી આપે છે, માનસિક ટોર્ચર કરે છે, ના છૂટકે મારે આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું છે’- અમદાવાદમાં મહિલા વ્યાજખોર દસ વર્ષથી યુવક પાસેથી વ્યાજ વસુલતી રહી, આખરે યુવકે આ શબ્દો પોતાની અંતિમ ચીઠ્ઠીમાં ઉલ્લેખીને અંતિમ પગલું ભરવાની ફરજ પડી હતી. યાસ્મીન બાનુ નામની આ માથાભારે મહિલાએ યુવકનું જીવવું હરામ કરી મુક્યું હતું. પોલીસે ઘટનાની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા 46 વર્ષના યુવક મહોમ્મદ સાદિક શેખે 18 જુલાઈએ ફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધું હતું. જે મામલામાં તેના ભાઈએ વેજલપુર પલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આપઘાતની દુષ્પ્રેરણા સંદર્ભે નોંધાવાયેલી ફરિયાદ મુજબ કન્ટ્રક્શન અને હેર સલૂનમાં કામ કરતા મૃતક ભાઈની અંતિમવિધિ પુરી કરી પરિવાર જ્યારે ઘરે આવ્યો ત્યારે ઘરમાં તપાસ કરતાં મૃતક ભાઈના ગાદલા નીચેથી તેમને એક ચીઠ્ઠી મળી હતી. તેમાં આપઘાત પાછળનું કારણ દર્શાવાયું હતું. તેમણે આ મામલે પોલીસને જાણ કરી હતી.
મૃતકે તેમના આપઘાત પાછળ વ્યાજનું કારણ હોવાનું લખ્યું હતું. છેલ્લા દસ વર્ષથી તે યાસ્મીન બાનુ નામની મહિલા પાસેથી લીધેલા રૂપિયાનું વ્યાજ ભરી રહ્યો હતો. તેણે લખ્યું હતું કે, તેના કારણે મહિલા તેને જીવથી મારી નાખવાની ધમકી આપતી અને તેનું જીવવું હરામ કરી નાખ્યું હતું.
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)]








