તોફિક ધાંચી (નવજીવન ન્યૂઝ. કડી): ગુજરાતનાં મહાનગરોમાં તમે બાળકોને લઈને ગાર્ડનમાં જાઓ તો તમારા બાળકો તો ખુશ થઈ જ જશે, સાથે જ તમને આ ગાર્ડનમાં યુવાનોથી લઈને વૃદ્ધો કસરત કરતાં પણ જોવા મળશે. મહાનગરોના ગાર્ડન તો સચવાય છે પણ જ્યારે અન્ય જિલ્લાઓના ગાર્ડનની સ્થિતિ તમે જોવો તો ગાર્ડન જોવા પણ ન ગમે તેવી સ્થિતિ હોય છે. આજે આવા જ એક ગાર્ડનની વાત કરવી છે. ગઇકાલે હું મારા બાળકોને લઈને આનંદ માણવા કડીના (Kadi) સરદાર બાગ ગાર્ડનમાં (Sardar Bagh Garden) ગયો હતો. આ ગાર્ડન નગરપાલિકા સંચાલિત છે, તેમ છતાં આ ગાર્ડન ખંડેર હાલતમાં છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના (Nitin Patel) ગામમાં જ આ ગાર્ડન આવેલો છે.

થોડા સમય પહેલા જ કડી નગરપાલિકાનું (Kadi Nagarpalika) 93 કરોડનું બજેટ મંજૂર થયું હતું. કડીના લોકોને સુવિધાઓ અને મનોરંજન મળી રહે તે હેતુથી આ બજેટમાં કેટલીક જાહેરાતો પણ કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે ગ્રાઉન્ડ પર જઈએ ત્યારે સ્થિતિ કઈક અલગ જ જોવા મળતી હોય છે. મહેસાણા (Mehsana) જિલ્લાના કડી તાલુકામાં દરવાજા રોડ પર વર્ષો જૂનું સરદાર બાગ ગાર્ડન આવેલું છે. સામાન્ય રીતે ગાર્ડનમાં બાળકો આનંદ માણવા અને યુવાનો તથા વૃદ્ધો કસરત કરવા અને સમય પસાર કરવા જતાં હોય છે. પણ આ સરદાર બાગ ગાર્ડનની હાલત તો એવી છે કે કોઈને બહારથી ગાર્ડન જોઈને જ અંદર જવાની ઈચ્છા ન થાય, તો પછી બાળકો આનંદ કેવી રીતે માણે? તેમ છતાં હું અને મારા બાળકો આ ગાર્ડનમાં ગયા અને જોયું તો ગાર્ડનની દયનીય પરિસ્થિતી હતી. બાળકોને રમવા માટે જે રમત-ગમતના સાધનો છે તે અત્યંત બિસ્માર હાલતમાં છે. જો બાળકો અહિયાં રમવા જાય તો બાળકોને રમ્યા બાદ ઘરે નહીં, હોસ્પિટલ લઈ જવા પડે.

આ બધુ મે મારી નજરે જોયા બાદ નગરપાલીકા ગાર્ડન સમિતિના ચેરમેન ઉષા પટેલ સાથે વાત કરી; ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “અમે દર 10 દીવસે શહેરના બગીચાની મુલાકાત લેતા હોય છે. શહેરના કુલ 6 બગીચાના નવીનીકરણ માટે કારોબારીની મંજુરી મળી ગઇ છે અને ટૂંક સમયમાં ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ શહેરના લોકોને ગાર્ડનમાં આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.” પરંતુ અહિયાં સવાલ એ ઊભો થાય છે કે, જો નગરપાલિકા ગાર્ડન સમિતિ દ્વારા દર 10 દિવસે શહેરના અલગ-અલગ ગાર્ડનની મુલાકાત કરવામાં આવતી હોય, તો આ ગાર્ડનની આવી સ્થિતિ થઈ જ કેમ? ઉષાબેન પટેલ આ વાતનો પણ જવાબ આપે.

ત્યાર બાદ જ્યારે નગરપાલીકાના પ્રમુખ ભરત પટેલ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકારે હાલ ‘અમૃતકાળ’ની જાહેરાત કરી છે. જે અંતર્ગત દરેક શહેરમાં તળાવ અને ગાર્ડનના ‘વિકાસ’ માટે 8 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. કડીને મળેલા 8 કરોડમાંથી 1 કરોડ અને 80 લાખ રૂપિયાના ખર્ચે સરદાર બાગ ગાર્ડનનું નવીનીકરણ કરવામાં આવશે. નજીકના સમયમાં આગળની પ્રક્રિયા પૂર્ણ કરીને આ કામગીરી ઝડપી કરવામાં આવશે.”
અહિયાં આ જનપ્રતિનિધિઓના જવાબ સાંભળ્યા બાદ કેટલાક સવાલો ઊભા થાય છે. કારણ કે દરેક વ્યક્તિના જવાબમાં ટેન્ડર પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સૂચક ઈશારો કરે છે. આ પ્રતિનિધિઓ માત્ર AC ઓફિસમાં બેસી રહે છે અને લોકોની સુખાકારી માટે કામ નથી કરતાં તેવા આક્ષેપો પણ સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે ગતરોજ મે મારી નજરે ગાર્ડનની હાલત જોઈ છે, જે જોતાં સ્થાનિકોની કેટલીક વાતો સાચી પણ લાગી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ફાળવણી થઈ હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય તેવું કોઈ જગ્યાએ દેખાતું નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








