શિયાળામાં ગાઢ ધુમ્મસના કારણે ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર 7 બસ અને 3 કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં વાહનો એકબીજાને અથડાતા તેમાં આગ લાગી ગઇ હતી. જેથી વાહનોમાં સવાર 4 લોકો બળી જતાં મોતને ભેટ્યા. જ્યારે 66 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવમાં ઘાયલોને હોસ્પિટલ લઇ જવા માટે 20 એમ્બ્યુલન્સ કામે લગાવવામાં આવી. આ બનાવમાં હજું પણ મૃત્યુઆંક વધી શકે છે. જિલ્લા કલેક્ટર ચંદ્ર પ્રકાશ સિંહના જણાવ્યા અનુસાર આ અકસ્માત થાણા બલદેવ વિસ્તારમાં માઇલસ્ટોન 127 પર થયો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો માટે 2-2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.








