નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Cleaners Death Case: ગતરોજ મંગળવારે રાજકોટ શહેરમાં ગટર સફાઈ કરતા કામદારનું ગટરમાં બેભાન થઈ જતા મોત નિપજ્યું હતું. સાથે જ ગટરમાં ઉતરેલા કામદારને બચાવવા ગયેલા કોન્ટ્રાક્ટરનું પણ મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ સફાઈકર્મી મેહુલના પરિવાર અને સગા સબંધીઓ રાજકોટની સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખાતે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે ધરણા પ્રદર્શન કરી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરતા રાજકોટ મહાનગરપાલિકા (RMC) સમક્ષ ત્રણ માગણીઓ મુકી હતી. જેમાંની બે માગણીઓ રાજકોટ મહાનગરપાલિકાએ સ્વિકાર કરતા ઘટનાની કલાકો બાદ પરિવારે મૃતદેહનો સ્વિકાર કર્યો હતો.

મળતી વિગતો અનુસાર રાજકોટના એસ.ટી. વર્કશોપની પાછળ ગટર સફાઈ કરતા સફાઈકર્મીનું મોત નિપજ્યું હતું. ગટરમાં ઉતરેલો સફાઈકર્મી મેહુલ ગેસ ગળતરના કારણે બેભાન બન્યો હતો બાદમાં તેને બચાવવા ગયેલો કોન્ટ્રાક્ટર અફઝલ પણ મોતને ભેટ્યો હતો. આ ઘટનાને પગલે રાજકોટમાં સફાઈ કામદારો અને મૃતક સફાઈકર્મીના પરિવારજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટર અફઝલના પરિવારે તો મૃતદેહનો સ્વિકાર કરી લીધો હતો પરંતુ મેહુલના પરિવારે મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરી કેટલીક માગણીઓ કરી હતી.

મૃતક મેહુલના પરિવારે મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરી ત્રણ માગણીઓ કરવામાં આવી હતી કે, તેમના પરિવારને રોકડ વળતર ચૂકવવામાં આવે અને પરિવારના સભ્યને મનપા દ્વારા નોકરી આપવામાં આવે. ઉપરાંત તેમણે રાજકોટમાં આવાસની પણ માગણી કરી હતી. આ માગણીઓને કારણે લાંબા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ મનપા દ્વારા બે માગણીનો સ્વિકાર કરતા મામલો થાળે પાડ્યો હતો.
મહાનગરપાલિકાના મેયર ડૉ. પ્રદિપ ડવે મૃતકના પરિવારની માગણીઓ બાબતે કહ્યું હતું કે, ‘મનપા દ્વારા ત્રણમાંથી બે માગણીઓનો સ્વિકાર કરવામાં આવ્યો છે. જેમાં પરિવારને રૂપિયા 10 લાખની આર્થિક સહાય ચૂકવવાનું નક્કી થયું છે. જ્યારે આવાસ માટે આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ આપવા માટે હકારાત્મક અભિગમ દાખવવામાં આવશે.’
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796