ભાર્ગવ મકવાણા (નવજીવન ન્યૂઝ. દેવભૂમિ દ્વારકા): તમે દ્વારકાધીશ ભગવાનને મળવા માટે બેટ દ્વારકા જાવ અને રસ્તામાં જ તમારી મુલાકાત યમરાજ સાથે થઇ જાય તો એમાં કોઈ આશ્ચર્ય નથી, કેમ કે દ્વારકા નગરપાલિકા તંત્રએ તમારી અને યમરાજની મુલાકાતની આગોતરી તૈયારીઓ કરીને રાખી છે. દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાનાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે યાતાયાત માટે ફેરી બોટ (Okha and Bet Dwarka ferry boat)ચાલે છે. બેટ દ્વારકા આવવા-જવા માટે ફેરી બોટ સિવાય કોઈ વૈકલ્પિક સુવિધા ન હોવાથી રોજ હજારોની સંખ્યામાં ભગવાન દ્વારકાધીશ દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ બોટમાં બેસીને ઓખાથી બેટ દ્વારકા આવતા-જતાં હોય છે. ત્યારે બીજી બાજુ ત્યાં ચાલતી ફેરી બોટમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ભરીને લોકોનું જીવન જોખમમાં મૂકી દેવાની ઘટનાઓ છાસવારે સામે આવતી હોય છે. બોટ ઓવરલોડના કારણે જોખમભરી દરિયાઈ મુસાફરીના કેટલાક ફોટોગ્રાફ્સ અને વિડીયો પણ સામે આવતા હોય છે. પરંતુ તેની સામે તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેઠું હોય તેવું લાગે છે.

અવાર-નવાર જ્યારે પણ બોટ ઓવરલોડ સામે કોઈ ફરિયાદ નોંધાય છે, ત્યારે 2-4 દિવસ માટે બોટમાં મુસાફરોની સંખ્યા પર ધ્યાન આપવામાં આવે છે. પરંતુ બાદમાં પરિસ્થિતિ ફરી ઓવરલોડીંગ સુધી પહોંચી જાય છે. થોડાજ સમય પહેલા મોરબીના ઝૂલતા પુલમાં ક્ષમતા કરતા વધુ લોકો એકત્ર થવાથી કેવી ગંભીર દુર્ઘટના બની હતી અને કેટલાય નિર્દિષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે હાલ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી બોટમાં પણ ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરવામાં આવતા હોવાથી આવી દુર્ઘટનાને ખુલ્લુ આમંત્રણ આપવા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.
મોરબી હોનારત બાદ ગુજરાત મેરી ટાઈમ બોર્ડના અધિકારીઓ, તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા આવતી-જતી બોટમાં ક્ષમતા કરતા પણ ઓછા મુસાફરો ભરવા બધાને સૂચના આપવામાં આવી હતી, પરંતુ તે સૂચનાઓ પણ જાણે દરિયાના મોજામાં વહી ગઈ હોય એવા દૃશ્યો અત્યારે ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટના છે.
આવી જ પરિસ્થિતિ રહી અને રોજની કોઈ નક્કર વ્યવસ્થા જો નહી કરવામાં આવે, તો ગમે ત્યારે મોરબી કરતા પણ મોટી જાનહાની થવાની શક્યતા નકારી શકાય નહીં. આવામાં જો કોઈ અનઇચ્છનીય દુર્ઘટના થાય તો જવાબદાર વ્યક્તિ કોણ તેની ઓળખ કરવી પણ અધરી પડી જાય તેમ છે.
દ્વારકા નગર પાલિકા તંત્ર એ કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા જ સલામતીના યોગ્ય પગલાં લઇ જ્યાંથી બોટ ઉપાડવામાં આવે છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવો જોઈએ અને જો કોઈ પણ દુર્ઘટના ત્યાં સર્જાય તો તેની સીધી જવાબદારી ત્યાં બંદોબસ્તમાં જે અધિકારીઓ છે તેમની જ માનવામાં આવે. આમ પ્રવાસીઓની સલામતી વધુ સુરક્ષિત બની શકશે.
TAG: Bet Dwarka Latest news, Bet Dwarka Ferry
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796