Friday, September 22, 2023
HomeGujaratAhmedabadમાણસ જેલમાં હોય ત્યારે મન આઝાદી ઝંખતું હોય, પણ બહાર આવ્યા પછીની...

માણસ જેલમાં હોય ત્યારે મન આઝાદી ઝંખતું હોય, પણ બહાર આવ્યા પછીની દુનિયા બિહામણી લાગે

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-73): Nadaan Series: સાબરમતી જેલમાં આનંદનો માહોલ હતો. આ પહેલી ઘટના હતી કે, કોઈ કેદીએ કોર્ટ સમક્ષ પોતાના ગુનાની કબુલાત કરી હોય અને કોર્ટે સાચું બોલવાના ઇનામ પેટે તેની સજા માફ કરી હોય. બીજા દિવસે સાંજ સુધી કોર્ટનો ઓર્ડર આવી ગયો. ગોપાલ અને સલીમની બાકીની સજા માફ કરી દેવામાં આવી હતી. રાકેશે ગોપાલ અને સલીમના જામીનની વ્યવસ્થા કરી દીધી હતી.

નિયમ પ્રમાણે સાંજની બંધી થતાં પહેલાં ગોપાલ અને સલીમને જેલમુકત કરી દેવાની કાર્યવાહી જેલ અધિકારીઓએ પૂરી કરવાની હતી. ગોપાલ અને સલીમ જેલમાં પોતાના બધા જૂના સાથીઓને મળી આવ્યા. ગોપાલ નીતિનકાકાને મળવા ગયો, કાકાની આંખમાં હરખના આંસુ હતા. તેમણે ગોપાલને કહ્યું, “બેટા, ખુશ રહેજે અને મારી કંઈ પણ જરૂર હોય તો મને કહેજે.”

- Advertisement -

વિરાંગ ગુમસુમ હતો. તેને ગોપાલ છૂટ્યો તેનો આનંદ તો હતો; પણ હવે ગોપાલ વગર ગમશે નહીં એવું તેને લાગી રહ્યું હતું. વિરાંગને મળતી વખતે ગોપાલની આંખો ભરાઈ આવી. કારણ કે. તેને ખબર હતી કે, હવે વિરાંગ એકલો પડી જશે. વિરાંગે તેને કહ્યું, “રડે છે શું કામ? રજા પર બહાર આવીશ ત્યારે આપણે મળીશુંને.”

સલીમ છૂટી રહ્યો હતો, પણ ખબર નહીં કેમ, તેના ચહેરા પર ખાસ કોઈ ભાવ નહોતો. ગોપાલ બહાર નીકળતા પહેલાં મેલડીમાતાનાં મંદિરે ગયો. તેણે આંખો બંધ કરીને કહ્યું, “મા, સોરી. હું તારાથી નારાજ હતો એટલે તારી સાથે વાત કરતો નહોતો; પણ તે મારું ખૂબ ધ્યાન રાખ્યું. એના માટે થેંક્યૂ.”

ગોપાલ અને સલીમે જેલના કપડાં બદલી નાખ્યાં. ઘરનાં રંગીન કપડાં પહેરી લીધાં અને જેલના ગેટની બહાર નીકળ્યા. ગોપાલની નજર પડી કે, સામે મમ્મી, પપ્પા અને રાકેશ ઊભાં છે. અચાનક ગોપાલને નિશીની યાદ આવી ગઈ. તેને એવો વિચાર આવી ગયો કે, કાશ આજે નિશી પણ સામે ઊભી હોત! ગોપાલે સલીમ સામે જોયું. તેણે સ્મિત આપ્યું. ગોપાલે વિચાર કર્યો કે, સલીમને લેવા તો કોઈ આવ્યું જ નથી! ગોપાલે પૂછ્યું, “સલીમ, હવે તું ક્યાં જઈશ?”

સલીમે આકાશ સામે જોયું અને કહ્યું, “દુનિયા બહુ વિશાળ છે. મારા જેવા એક માણસની વ્યવસ્થા તો કુદરત કરી જ નાખશે.”

આટલું બોલીને પોતાનો થેલો લઈને સલીમ જેલનાં કેમ્પસના ગેટ તરફ ચાલવા લાગ્યો. બહાર જતાં પહેલાં એ ગોપાલનાં મમ્મી–પપ્પા પાસે ગયો. તેમને પગે લાગ્યો અને રાકેશને ભેટીને બહાર નીકળી ગયો. તરત ત્યાંથી રિક્ષા પકડીને જતો રહ્યો. ગોપાલ તેને જતાં જોઈ રહ્યો. એક સલીમ તેની જિંદગીમાં આવ્યો અને કોઈપણ ફરિયાદ વગર જતો પણ રહ્યો!

ગોપાલ પોતાના ઘરે પાછો આવી ગયો. તેના મમ્મી-પપ્પા અને રાકેશને તો આનંદ હતો, પણ ગોપાલનું મન પાછું નિશીના વિચારોમાં ગુંચવાઈ ગયું હતું. તે ઘણી વખત નિશીનાં ઘરની બહાર જઈને ઊભો રહેતો. એ પરિમાલ ગાર્ડન પણ જતો. જ્યાં એ અને નિશી બેસતાં હતાં ત્યાં જઈને પોતાને જ પ્રશ્ન કરતો કે, નિશી કેમ જતી રહી?

ગોપાલે જેલમાંથી બહાર આવીને નિશીના પપ્પાને મળવા અનેક વખત પ્રયત્ન કર્યા; પણ નિશીના પપ્પા મળવા તૈયાર થયા નહીં. કદાચ હવે ગોપાલને મળવાની તેમનામાં હિંમત રહી નહોતી. ગોપાલે ઠેક ઠેકાણે વેદાંતને પણ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. ગોપાલ જેલમાં હતો ત્યારે તેની જુદી ચિંતા હતી. જેલમાંથી બહાર આવ્યા પછી પણ તેની ચિંતાઓ જુદી હતી.

હવે તેને કોઈ નોકરીની જરૂર હતી. પપ્પા થાકી ગયા હતા અને એમની ઉંમર પણ થઈ ગઈ હતી. ગોપાલે નોકરી શોધવા પ્રયત્ન શરૂ કર્યા; પણ પહેલાં ક્યાં નોકરી કરતા હતા? એવો પ્રશ્ન આવે ત્યારે ગોપાલે કહેવું જરૂરી હતું કે, હું જેલમાં હતો. જેલ શબ્દ કાન પર પડતાં જ સામેથી જવાબ મળતો કે, હમણાં અમારી પાસે કામ નથી. જરૂર હશે તો ફોન કરીશું.

જેલમાંથી બહાર નીકળતી વખતે નીતિનકાકાએ કહ્યું હતું કે, મારે લાયક કોઈ કામ હોય તો કહેજે. તેનું કારણ આજે ગોપાલને સમજાતું હતું. નીતિનકાકા જાણતા હતા કે, ગોપાલની જિંદગીની ખરી કસોટી હવે શરૂ થવાની છે. કારણ કે જેલનો ધબ્બો લાગ્યા પછી બહારની દુનિયાવાળા જલદી વિશ્વાસ કરતા નથી.

ગોપાલને જેલની બહાર આવ્યા પછી દુનિયા ડરામણી લાગી રહી હતી. અચાનક ગોપાલને યાદ આવ્યું. જેલમાં પત્રકારત્વ ભણાવતા આદેશ સરે કહ્યું હતું કે, “આપણો સંબંધ માત્ર જેલ પૂરતો નથી. જીવનમાં ક્યારેય મારી જરૂર પડે તો મને યાદ કરજો.”

ગોપાલ પાસે આદેશ સરનો નંબર હતો. તેણે ફોન કર્યો અને નવજીવન સંસ્થા ઉપર મળવા ગયો. પહેલાં સામાન્ય વાતચીત કર્યા પછી ગોપાલે કહ્યું, “સર, મારે કામ જોઈએ છે.”

આદેશ પણ આ પ્રકારની સ્થિતિ માટે તૈયાર નહોતો. ગોપાલે કહ્યું, “સર, હું કામ માટે જ્યાં પણ ગયો, ત્યાં મને મારો જેલવાસ નડી રહ્યો છે.”

આદેશને મનમાં ડર લાગ્યો, જો ગોપાલને કામ નહીં મળે તો ક્યાંક એ પોતાની પાછલી દુનિયામાં પાછો જતો રહેશે તો? કારણ કે જેલ તો ક્રાઇમની યુનિવર્સિટી છે. ત્યાં તમામ પ્રકારના ગુનાની તાલીમ અને ડિગ્રી મળે છે. ગોપાલને પાંચ વર્ષમાં અનેક નાના–મોટા ગુનેગાર મળ્યા હશે.

આદેશ મનમાં ડરી ગયો. તેણે તરત પોતાનાં પર્સમાંથી દસ હજાર રૂપિયા કાઢ્યા અને ગોપાલના હાથમાં મૂકતા કહ્યું, “મને એક મહિનો આપ. ત્યાં સુધી બીજું કોઈપણ એવું કામ કરતો નહીં, જેના કારણે મને અને તને શરમ આવે.”

ગોપાલે પૈસા પાછા આપતાં કહ્યું, “સર, મારે પૈસા નથી જોઈતા. કામ જોઈએ છે.”

આદેશે તેને સમજાવ્યો, “હું તારા માટે કામની વ્યવસ્થા કરીશ. આ તને ઉધાર આપું છું. તારી નોકરી મળે એટલે મને પાછા આપી દેજે.”

ગોપાલ ત્યાંથી નીકળ્યો એટલે આદેશે તરત ચાર–પાંચ જગ્યાએ ફોન જોડ્યા. જેલમાંથી છૂટેલા એક કેદીને નોકરી જોઈએ છે, એવી વાત કરી. પણ ગોપાલની વાત સાચી પડી. આદેશને પણ એવો જ અનુભવ થયો. કેદી શબ્દ કાને પડતાં બધા જ વાત ટાળી દેતા હતા.

આદેશ ઊભો થયો અને નવજીવન સંસ્થાના વડા મયુર જોશી પાસે ગયો. આદેશે કહ્યું, “મયુર, હમણાં જેલમાંથી છૂટેલો એક કેદી આવ્યો હતો. તેને કામની જરૂર છે.”
મયુર કંઈક વિચાર કરવા લાગ્યો. આદેશે કહ્યું, “આપણે તેને આપણી સંસ્થામાં કામ આપી શકીએ?”

મયુરે કહ્યું, “આપણી સંસ્થામાં શું કામ આપી શકીએ?”

આદેશે કંઈક વિચાર કરીને કહ્યું, “ગોપાલ પત્રકારત્વ ભણ્યો છે અને જેલની પરિસ્થિતિથી વાકેફ છે. આપણા જેલ પ્રોજેક્ટનો જ તેને હિસ્સો બનાવી દઈએ તો?”

મયુરને લાગ્યું કે, આદેશનો આઇડિયા સારો છે. એક મહિના પછી ગોપાલ નવજીવન સંસ્થામાં જોડાઈ ગયો. જે જેલમાં ગોપાલ કેદી હતો, તે જ સાબરમતી જેલમાં હવે એ કેદીઓને પત્રકારત્વ ભણાવે છે.

ગોપાલની જિંદગી ફરી પાટે ચઢી. થોડા મહિના પછી ગોપાલની મમ્મીએ કહ્યું, “બેટા, હવે લગ્નનો વિચાર કર.”

શરૂઆતમાં તો ગોપાલ એ વાતને ટાળી દેતો હતો; પણ જ્યારે ગોપાલ લગ્ન માટે તૈયાર થયો ત્યારે ફરી જૂનો પ્રશ્ન સામે આવીને ઊભો રહ્યો. ગોપાલ પહેલી મુલાકાતમાં જ છોકરીને પોતાના ભૂતકાળ અંગે કહેતો, ત્યારે વાત ત્યાં જ અટકી જતી હતી. ગોપાલે એકસો કરતાં વધુ છોકરીઓ સાથે મુલાકાત કરી; પણ જેલના મુદ્દે મંત્રણા અટકી જતી હતી.

ઘણા લોકોએ સલાહ આપી કે, જેલની વાત થોડા સમય માટે છૂપી રાખ. પછીથી કહી દે જે. પરંતુ ગોપાલ કહેતો કે, “ના, હું ક્યારેય દગો નહીં કરી શકું. વાત પહેલાં કહું કે પછી, આખરે તો જણાવવાનું જ છે. પાછળથી કહીશું તો તે દગો કહેવાશે અને તે મને મંજૂર નથી.”

બે વર્ષ પછી ગોપાલને કાજલ મળી. કાજલ એક ટીવી ચેનલમાં એંકર તરીકે કામ કરતી હતી. કાજલને ગોપાલની જિંદગી બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી. ગોપાલ અને કાજલ અનેક વખત મળ્યાં. એક દિવસ ગોપાલે કાજલને પૂછ્યું, “તું મારી સાથે લગ્ન કરીશ?”

ગોપાલ તરફથી આવી દરખાસ્ત આવશે, એ કાજલ માટે અનઅપેક્ષિત હતું. કાજલે વિચાર કરવાનો સમય માગ્યો. થોડા દિવસ પછી કાજલે હા પાડી. પત્રકાર આદેશ સહિત થોડાક મિત્રોની હાજરીમાં ગોપાલ અને કાજલનાં લગ્ન થયાં. ગોપાલ જેલમાંથી છૂટી ગયો તે વાતને હવે લાંબો સમય થઈ ગયો છે. ગોપાલની બાઇક ઉપર ‘નાદાન’ લખેલું છે.

નિશી ગોપાલને ‘નાદાન’ કહેતી હતી. રાકેશ આજે પણ ગોપાલ અને તેના પરિવાર સાથે એટલો જ સંબંધ રાખે છે. વર્ષો વીતી ગયા, પણ સલીમ તેને ફરી મળ્યો નહોતો. એકાદ વર્ષ પહેલાં એક દિવસ તે અચાનક ગોપાલને મળી ગયો. ગોપાલે સલીમને પૂછ્યું, “ક્યાં છે ભાઈ?”

તેણે કહ્યું, “હું બહુ દૂર જતો રહ્યો છું ગોપાલ.”

ગોપાલ આજે પણ નક્કી નથી કરી શક્યો કે, સલીમ શું કહેવા માગતો હતો? એ પછી સલીમ ક્યાં જતો રહ્યો, એનો કોઈ પત્તો નથી. ગોપાલનાં જીવનનું જેમ હેપ્પી એંડિંગ થયું, તેવું દરેક કેદીનાં જીવનમાં થતું નથી. એટલે જ પત્રકાર આદેશ આજે પણ નવા ગોપાલની શોધમાં સાબરમતી જેલમાં નિયમિત આવે છે.

(સમાપ્ત)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular