પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-72): ગોપાલે પોતાનો પક્ષ હાઈકોર્ટ સામે મુક્યો સલીમનું હ્રદય રોજ કરતા વધારે સ્પીડમાં દોડતું હતું, તેના ચહેરા ઉપર એક પ્રકારનો મુંઝારો હતો કારણ એક વખત કોઈ આરોપી કોર્ટ સામે પોતાના સાચા પત્તા ઉતરી જાય પછી તેને પોતાના પત્તા બદલવાની તક મળતી નથી. સલીમ વિચારી રહ્યો હતો કે ક્યાંક ગોપાલ ભુલ તો કરી રહ્યો નથી પણ હવે મોડુ થઈ ગયું હતું. ગોપાલે પોતાનું કબુલાત નામુ હાઈકોર્ટ સામે મુકી દીધુ હતું. જસ્ટીશ દવેએ ગોપાલને સાંભળ્યા પછી અંગ્રેજીમાં સરકારી વકિલને કેટલાંક સવાલ પુછયા, ગોપાલને ખાસ અંગ્રેજી ખબર પડતી ન્હોતી પણ કેટલીક ત્રુટક વાતો તેની સમજાઈ રહી હતી. જસ્ટીશ દવે સરકારી વકિલ પાસે જાણવા માગતા હતા કે જ્યારે ગોપાલ પકડાયો ત્યારે તેની પાસેથી કેટલી કિંમતની બનાવટી નોટ મળી હતી.
સરકારી વકિલે પોલીસ તરફ આવેલા કાગળો જોઈ કહ્યું નામદાર લગભગ ચાર હજાર રૂપિયા, જસ્ટીશ દવેના ચહેરા ઉપર થોડો આશ્ચર્ય ભાવ આવ્યો, કોર્ટમાં એકદમ સન્નાટો હતો કારણ હાઈકોર્ટ સામે આ પહેલો કેસ હતો જેમાં સજા થયેલો કેદી પોતાના બચાવમાં કંઈ કહેવાને બદલે પોતે ગુનેગાર છે તેવું કહી રહ્યો હતો, ત્યાં બેઠેલા સિનિયર કાઉન્સીલ પણ ગોપાલના વલણ પ્રભાવિત થયા હતા. જસ્ટીશ દવે એડવોકેટ ચાંપાનેરીને પુછ્યું તમારા અસીલને કેટલા વર્ષની સજા થઈ છે? ચાંપાનેરીએ ઊભા થઈ કહ્યું મી લોર્ડ દસ વર્ષની સજા, જસ્ટીશ દવેનો બીજો સવાલ હતો કેટલા વર્ષથી આ જુવાન માણસ જેલમાં છે? ચાંપાનેરીએ કહ્યું લોર્ડશીપ પાંચ વર્ષથી. જસ્ટીશ ચાંપાનેરીના ચહેરા ઉપર ગંભીરતા આવી તેમણે પોતાના સ્ટાફને સૂચના આપી, કોર્ટ એકદમ શાંત હતી બે જ મિનિટમાં જસ્ટીશનો સ્ટેનોગ્રાફર આવી પોતાની ખુરશી ઉપર બેસી ગયો. જસ્ટીશ દવેએ ચુકાદો લખાવતા કહ્યું મેં મારી કેરીયરમાં લાખો કેસ જોયા છે, પણ તમામ આરોપીઓનો દાવો હોય છે કે પોલીસે તેમની ઉપર ખોટો કેસ કર્યો છે. કોર્ટે ખોટા કેસ પણ જોયા છે પણ આ પહેલો કેસ જેમાં કોઈ આરોપી પોતાના બચાવમાં પોલીસ અને ન્યાયતંત્રની ચુક તરફ ધ્યાન દોરવાને બદલે પોતાની ભુલનો એકરાર કરે છે.
તેમણે કહ્યું કે, ન્યાય અદાલતમાં આવનાર તમામ સોંગદપુર્વક સાચુ બોલવાના સોંગદ લે છે, પણ વાસ્તવીકતા વિપરિત હોય છે. તેમની અમને પણ ખબર છે. સત્યની પણ એ કિંમત હોય છે, પણ આપણે આપણી આસપાસ સતત સત્યને હારતુ, મરતુ અને લાચાર જોયું છે, જેના કારણે સામાન્ય માણસ સત્યને આધાર બનાવતા ડરી રહ્યો છે. ગુનો ગુનો જ હોય છે, ગોપાલ અને સલીમે બનાવટી નોટો છાપી તેની કિંમત માત્ર ચાર હજાર રૂપિયા છે પણ આઈપીસીમાં રકમ પ્રમાણેની સજાની જોગવાઈ નથી, નીચલી અદાલતે કરેલી દસ વર્ષની સજા તે કાયદાની જોગવાઈ પ્રમાણે છે પણ અમે લાગે છે. ન્યાયનો સિધ્ધાંત જડ બની જવો જોઈએ નહીં, ગોપાલ અને સલીમ પચ્ચીસ વર્ષના છે, તેમની સામે લાંબી જીંદગી હજી બાકી છે. આ જુવાન માણસોએ હાઈકોર્ટ સામે આવી સાચુ બોલવાની હિંમત કરી તે નાની ઘટના નથી. અદાલત તેમની આ હિંમતની કદર અને પ્રસંશા કરે છે. આ સાથે અદાલત તે બાબતને પણ ધ્યાનમાં લે છે કે, સત્યની સાથે રહેનારનો પણ વિજય થવો જોઈએ. જસ્ટીશ દવે એક ક્ષણ રોકાઈ ગોપાલ સામે જોયું અને ફરી ચુકાદો લખાવવા લાગ્યા.
તેમણે ઉર્મેયું કે આરોપી ગોપાલ નાની ઉંમરનો હોવાની સાથે તેના ઘરે વૃધ્ધ માતા પિતા છે. જેઓ પણ વર્ષોથી તેની રાહ જોતા હશે. આ કેસમાં જો ગોપાલ અને સલીમે પોતાના બચાવમાં અન્ય કોઈ મુદ્દાઓ રજૂ કર્યા હોત, પોલીસ તપાસની ખામીઓ અને નીચલી અદાલતના હુકમને પડકાર્યો હોત તો સરકાર પક્ષે પણ પોતાનો પક્ષ મુકવો જરૂરી હતો પણ અમને લાગે છે અહિયા મુદ્દો કેસના મેરીટનો નથી. તેથી અદાલત એવા નિર્ણય ઉપર આવી છે કે ગોપાલ અને સલીમે હમણાં સુધી જે પાંચ વર્ષ સજા ભોગવી છે, એટલી સજા તેમના ગુના પ્રમાણે પુરતી છે. અદાલત આદેશ આપે છે કે ગોપાલ અને સલીમને બાકીની પાંચ વર્ષની સજામાંથી મુકત કરવામાં આવે. જસ્ટીશ દવેએ ગોપાલ અને સલીમ સામે જોયું તેમની આંખમાંથી દડ દડ આંસુ વહી રહ્યા હતા. ચાંપાનેરી પણ પોતાની આંખના ભીના થયેલા ખુણા છુપાવી શક્યા નહીં. જસ્ટીશ દવેના ચહેરા ઉપર એવો ભાવ હતો કે બહુ વર્ષો પછી તેમણે કોઈ યોગ્ય ન્યાય કર્યો હોય. ગોપાલ અને સલીમે ઊભા થઈ કોર્ટને હાથ જોડી તેમનો આભાર માન્યો. પોલીસ ગોપાલ અને સલીમને કોર્ટની બહાર લઈ આવી, બહાર આવતા જ ગોપાલ અને સલીમે એડવોકેટ ચાંપાનેરીના ચરણ સ્પર્શ કરી તેમનો આભાર માન્યો, હજી તેમની આંખના આંસુ રોકાતા જ ન્હોતા. ગોપાલે કહ્યું સાહેબ બહાર આવી જેમ બને તેમ વહેલા તમારી બાકીની ફિના પૈસા આપી જઈશ. એડવોકેટ ચાંપાનેરી ગોપાલને ભેટી પડતા કહ્યું ગોપાલ બાકીની ફિના પૈસા જોતા નથી. અરે તે તો મને સત્યની કેટલી તાકાત હોય છે તેનો પરચો પહેલી વખત કરાવ્યો છે.
આ બધી ચર્ચા ચાલી રહી હતી ત્યારે એક અવાજ બધાના કાને પડયો ગોપાલ, ક્યાંથી અવાજ આવ્યો તે જોવા ગોપાલે નજર ફેરવી તો ગોપાલની બરાબર પાછળ જ તેના પપ્પા ઊભા હતા. તેમની આંખોમાં પણ પાણી હતું. ગોપાલ પપ્પાને વળગી પડયો. પપ્પાએ ચાંપાનેરી સાહેબનો આભાર માનતા કહ્યું સાહેબ બહુ બહુ આભાર અમારા જેવા ગરીબ માણસને મદદ કરી છે. ગોપાલના પપ્પાને ખબર હતી કે આજે મુદત છે એટલે પપ્પા ક્યારના આવી કોર્ટમાં બેસી ગયા હતા પણ ગોપાલનું તેમના તરફ ધ્યાન જ ન્હોતું. ગોપાલ જ્યારે પોતાની વાત જસ્ટીશ દવેને કહી રહ્યો હતો ત્યારે પપ્પાને પહેલી વખત ગોપાલ માટે અભિમાન થઈ રહ્યું હતું. એડવોકેટ ચાંપાનેરીએ ગોપાલના પપ્પાને કહ્યું દાદા મારી કોઈ કરામત નથી. તમારા ગોપાલે જ બધુ કર્યું છે, પણ તમે હવે ચિંતા કરતા નહીં. તમામ દુઃખના દિવસો પુરા થયા આવતીકાલ સાંજ સુધી કોર્ટનો ઓર્ડર જેલ સુધી પહોંચી જશે પછી ગોપાલ ઘરે આવી જશે. ગોપાલ અને સલીમના ખભે હાથ મુકતા ચાંપાનેરીએ કહ્યું હવે આવી નહીં પણ કોઈ પ્રકારની ભુલ કરતા નહીં કારણ કે, ઉપરવાળો દુશ્મનને પણ કોર્ટ અને જેલ ના બતાડે તેવી મારી પ્રાર્થના હોય છે. પોલીસ જવાનોએ ફરી તેમને પોલીસવાનમાં બેસાડ્યા અને તેઓ સાબરમતી જેલ જવા રવાના થયા. પાછા ફરતી વખતે ગોપાલને લાગી રહ્યું હતું જાણે તેણે આખુ અમદાવાદ જીતી લીધુ હોય. આદેશને પણ જ્યારે ગોપાલની સજા માફ થઈ તેવા સમાચાર મળ્યા ત્યારે તે પણ ખુશ હતો.
(ક્રમશઃ)
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.