Saturday, June 3, 2023
HomeGeneralપત્રકાર આદેશે કેદીઓને કહ્યું અમારા કરતા તમે ગાંધીની વધારે નજીક છો અને...

પત્રકાર આદેશે કેદીઓને કહ્યું અમારા કરતા તમે ગાંધીની વધારે નજીક છો અને ગાંધીજી તમારા કારણે આજે જીવંત છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-66): તા 2 ઓકટોબર જેલના ઓપનએર થીયેટરમાં નવજીવન સંસ્થા દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતો, આ કાર્યક્રમની તૈયારી બે દિવસથી શરૂ થઈ હતી, કેદીઓને સૂચના મળી ગઈ હતી કે પાકા કામના કેદીઓએ સવારે નવ વાગે ઓપનએર થીયેટરમાં આવી જવાનું છે, જેલનો સ્ટાફ પોણા નવ વાગ્યાથી બેરેકમાંથી કેદીઓને કાર્યક્રમ માટે ધકેલી રહ્યો હતો. કેદીઓમાં બે પ્રકારના હતા કેદીનો એક પ્રકાર એવો હતો કે જેલમાં બહારથી કોઈ સંસ્થા કાર્યક્રમ માટે આવે તો કેદીનો પહેલો પ્રકાર ખુબ ખુશ થઈ જતો હતો તેમને લાગતુ કે તેમના ઘરે પ્રસંગ છે, જ્યારે બીજો પ્રકાર એવો હતો કે આ કેદીઓ માનતા હતા કે સંસ્થાઓ જેલમાં કોઈ પણ પ્રોગ્રામ કરે આપણા જીવનમાં શું ફેર પડે છે? ગોપાલ હજી પ્રમાણમાં નવો હતો પણ વિરાંગ બીજા પ્રકારના કેદીની શ્રૈણીમાં આવતો હતો, તેની તમામ ગણતરીમાં મને શું ફાયદો થશે એટલે ગાંધી જંયતિના કાર્યક્રમ સાથે વિરાંગને કોઈ નીસ્બત ન્હોતી, પણ જેલનો સ્ટાફ પરાણે તેમને ઓપરએર થીયેટરમાં લાવ્યો હોવાને કારણે વિરાંગ અને ગોપાલ સાથે કાર્યક્રમમાં આવ્યા હતા.



થોડીવારમાં કાર્યક્રમ શરૂ થયો. સ્ટેજ ઉપર એસપી વિનય દવે, નવજીવન સંસ્થાના વડા મયુર જોષી અને જેલ સ્ટાફ સહિત અમદાવાદના પત્રકાર આદેશ પણ આવ્યા હતા. ગોપાલને જ્યારે કાર્યક્રમમાં આવી ખબર પડી કે પત્રકાર આદેશ પણ છે ત્યારે બહુ કૌતુક લાગ્યું કારણ ગોપાલને ક્રાઈમ સ્ટોરીમાં ખુબ રસ હતો અને તેણે પત્રકાર આદેશની ક્રાઈમ સ્ટોરી ખુબ વાંચી હતી. કાર્યક્રમમાં ભાષણોનો દૌર ચાલ્યો એસપી સહિત નવજીવન સંસ્થાના વડાએ જેલમાં શરૂ થઈ રહેલા પત્રકારત્વના અભ્યાસ ક્રમની જાણકારી આપી અને અભ્યાસક્રમનું સંચાલન પત્રકાર આદેશ સંભાળશે તેવી પણ જાહેરાંત કરી હતી. આદેશ પત્રકારત્વ ભણાવશે તેવી જાહેરાંત થતાં ગોપાલના ચહેરા ઉપર એક ચમક આવી ગઈ તેણે વિરાંગ સામે જોયું, વિરાંગે ગોપાલના કાન પાસે મોંઢુ લાવી કહ્યું આવા બહુ સંસ્થાવાળા જેલમાં આવીને જતા રહ્યા તેમને તો ફોટા પડાવવામાં જ રસ હોય છે. આવતીકાલે છાપામાં તેમનો ફોટો આવશે અને પછી આપણે કોણ અને તે કોણ તે પણ તેમને યાદ રહેશે નહીં.

વિરાંગ જે કઈ રહ્યો હતો તેના કરતા ગોપાલને પત્રકાર આદેશ ભાષણ કરવા ઊભા થયા તે સાંભળવામાં વધારે રસ હતો. પત્રકાર આદેશે પોતાની વાત શરૂઆત કરતા કહ્યું “હવે હું રોજ આવીશ, આપણે સાથે કામ કરીશું, મને તમારા ભુતકાળમાં કોઈ રસ નથી, તમારૂ જેલમાં હોવુ તેને હું જીંદંગીનો એક સંજોગ કહીશ મને તમારા વર્તમાનમાં રસ છે અને તમારા ભવિષ્ય માટે શું થઈ શકે તે આપણે સાથે મળી નક્કી કરીશું. આદેશ બોલી રહ્યો હતો ત્યારે ગોપાલ એકદમ ધ્યાનથી તેને સાંભળી રહ્યો હતો. વિરાંગની નજર મંચ ઉપર જતી ક્યારેક તે ગોપાલના હાવભાવ જોઈ રહ્યો હતો, આદેશે કહ્યું આજે ગાંધી જયંતિ છે, બહારની દુનિયાનો લોકો તો ગાંધી જયંતિ અને ગાંધી નિર્વાણના દિવસે ગાંધીને યાદ કરે છે, પરંતુ કાર્યક્રમમાં આવતા પહેલા હું જેલ એસપી સાહેબ સાથે ગાંધી ખોલી ગયો હતો, મને તેમણે કહ્યું 1922માં ગાંધીજીને આ ખોલીમાં રાખવામાં આવ્યા હતા, ત્યારથી હમણાં સુધી રોજ જેલના કેદીઓ ગાંધી ખોલીમાં દિવો કરે છે.



જેલના કેદીઓ માને છે કે આજે પણ અહિયા ગાંધી જીવે છે, મને લાગે છે તમે અમારા કરતા ગાંધીની વધારે નજીક છો અને ખરેખર ગાંધીજીને જીવંત રાખવાનું કામ તમે કર્યું છે, મારો અનુભવ કહે છે ગાંધી વાંચવાનો વિષય નથી, ગાંધી તો જીવવો પડે તો જ ગાંધી સમજાય તેમ છે.” કાર્યક્રમ પુરો થયો પછી પત્રકાર આદેશ મંચની નીચે ઉતરી કેદીઓ સાથે વાત કરી રહ્યા હતા, ખબર નહીં કેમ પણ ગોપાલને આદેશનું આકર્ષણ થયું હતું. ગોપાલ ત્યાં જતા પોતાને રોકી શક્યો નહીં ગોપાલ આદેશ જ્યાં વાત કરતા હતા ત્યાં પહોંચી ગયો, ગોપાલ કેદીઓ અને આદેશની વાત સાંભળી રહ્યો હતો. પત્રકાર આદેશ ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે ગોપાલે તેમને બુમ પાડી સર એક મિનિટ આદેશે પાછળ ફરી જોયું ગોપાલ દોડતો પાસે આવ્યો, નમસ્તે કરતા કહ્યું સર મારે તમારી પાસે પત્રકારત્વ ભણવું છે. આદેશના ચહેરા ઉપર એક સ્મિત આવ્યું આદેશે કહ્યું આપણે સાથે પત્રકારત્વ ભણીશું કારણ પત્રકારે પણ રોજ અભ્યાસ તો કરવો પડે, સારૂ આવતીકાલે અગીયાર વાગે લાઈબ્રેરી રૂમમાં આવી જજે આવતીકાલથી આપણે ભણવાનું શરૂ કરીશું.

- Advertisement -

ગોપાલ પત્રકાર આદેશને બહાર જતા જોઈ રહ્યો આદેશનો મધ્યમ બાંઘો, લગભગ પોણા છ ફુટ ઉંચાઈ, શર્ટીંગ કર્યા વગરનો શર્ટ, જીન્સ પેન્ટ, પગમાં સ્પોર્ટસ શુંઝ હતા. ગોપાલ સાચુ માનવા તૈયાર ન્હોતો કે તે પત્રકાર આદેશને રૂબરૂમાં મળ્યો છે અને હવે તે આદેશ પાસે પત્રકારત્વ ભણવાનો છે. આખો દિવસ ગોપાલનો કામમાં પસાર થઈ ગયો તેના માનસપટમાં સતત સવારનો કાર્યક્રમ અને પત્રકાર આદેશની વાતો ફર્યા કરતી હતી. સાંજે બેરેકમાં આવ્યો ત્યારે પણ વિરાંગે જોયું કે ગોપાલ કોઈક વિચારમાં હતો પણ સાથે તેનો ચહેરો ખુશ હતો, ગોપાલ પત્રકારત્વ ભણવા માટે ખુબ ઉત્સાહી હતો તેણે નીતિનકાકા સાથે પણ વાત કરી હતી કાકાએ તેને ભણવા માટે એક કલાકની છુટી પણ આપી હતી.



વિચારોમાં રાત ક્યારે થઈ ગઈ ખબર પડી જ નહીં રાતે બિસ્તરમાં પડ્યા પડ્યા તેના કાનમાં આદેશના શબ્દો ઘુમરાઈ રહ્યા હતા કે ગાંધી વાંચવાનો વિષય નહીં ગાંધી તો જીવવાનો વિષય છે. ગોપાલે હજી થોડા દિવસ પહેલા જ રેકોર્ડીંગમાં ગાંધીજીને વાંચ્યા હતા લેખક આર કે પ્રભુ અને યુ આર રાવ લિખિત મહાત્મા ગાંધીના વિચારો વાંચ્યા હતા. ગોપાલને કયારેય એવો વિચાર જ ન્હોતો આવ્યો કે ગાંધીજી જે કહે છે તે રીતે જીવી શકાય કારણ ગોપાલને ગાંધીની વાતો અલૌકિક લાગતી હતી પણ આદેશનું કહેવું હતું ગાંધી જો જીવવાનો વિષય છે. ગોપાલ વિચારમાં પડી ગયો ખરેખર ગાંધીજી કહે છે તેવું આ જમાના જીવી શકાય ખરૂં, ગોપાલ પોતાના કેસ માટે વિચાર કરવા લાગ્યો. જ્યારે તેનો કેસ કોર્ટમાં ચાલ્યો ત્યારે તેણે કોર્ટને કહ્યું હતું પોલીસે તેની ઉપર ખોટો કેસ કર્યો છે અને તેને આ ગુના સાથે કોઈ નીસ્બત નથી, ગોપાલને લાગ્યું કે તે કોર્ટમાં ખોટું બોલ્યો હતો ખરેખર તેણે ગુનો કર્યો જ હતો, પણ હવે ગોપાલના જીવનમાં ગાંધીની આંધી આવવાની હતી તે ગાંધી નામના એક દરિયા કિનારે ઊભો હતો.

(ક્રમશઃ)

PART 65 : જેલમાં નવા SP સાહેબ આવ્યા હતા તેઓ રાઉન્ડમાં નીકળ્યા, તેમણે ગોપાલને પુછ્યું ‘બહુ કમાયો હોઈશ’



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular