Friday, April 19, 2024
HomeGujaratAhmedabadનીશીએ કહ્યું ગોપાલ તું નથી એટલે મને તારા વગર ગમતુ નથી, પપ્પા...

નીશીએ કહ્યું ગોપાલ તું નથી એટલે મને તારા વગર ગમતુ નથી, પપ્પા પણ કહે છે કે ઘરે આવ તો જ હું ઘરે જઉ

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-50): Nadaan Series: ગોપાલ અને નિશીનાં પ્રણયની શરૂઆત થઈ ત્યારે ગોપાલ પહેલી વખત નિશીને આ જ બગીચામાં લઈ આવ્યો હતો. પછી તો તેમની મુલાકાતોનું કાયમી સરનામું પણ આ બગીચો જ બની ગયો હતો. નિશી અને ગોપાલ બંનેની આંખમાં જૂની યાદો દોડી આવી. નિશીને જાણે કોઈ સરપ્રાઇઝ મળી હોય એવો આનંદ તેના ચહેરા પર હતો.

બંને બગીચામાં દાખલ થયાં. નિશીને લાગી રહ્યું હતું કે, એક એક ઝાડ, ફુલોનો એક એક છોડ, એક એક બાંકડો તેનાં પરિચિત છે! તે બંનેને સાથે આવેલાં જોઈને વૃક્ષ પણ જાણે ખુશ થઈ ગયાં હોય; એવું તેમને લાગી રહ્યું હતું. ગોપાલે પૂછ્યું, “નિશી?”

- Advertisement -

“હંઅંઅં?” નિશીએ સામે પ્રશ્ન કર્યો.

ગોપાલે બગીચામાં દૂર સુધી નજર દોડાવતાં પૂછ્યું, “તને યાદ છે? આપણે કયા બાંકડે બેસતાં હતાં?”નિશીએ આસપાસ નજર દોડાવી અને યાદ કરીને કહ્યું, “હા, પેલી કરેણનાં ઝાડ નીચેના બાંકડા પર.”

ગોપાલનાં અંતરનો આહ્લાદ તેના ચહેરા પર વર્તાતો હતો. બગીચામાં ઘણાં યુગલ બેઠાં હતાં, પણ નિશી અને ગોપાલ માટે જાણે બાંકડો રિર્ઝવ હતો! તે વખતે એ ખાલી હતો. નિશીને લાગ્યું કે, જાણે બાંકડો પણ એ બંનેની જ રાહ જોઈ રહ્યો છે! ગોપાલ અને નિશી પોતાની કાયમની જગ્યાએ જઈને બેઠાં. બંનેનાં મનમાં એક જુદો જ રોમાંચ હતો.

- Advertisement -

ઘણી વખત માણસ પાસેથી ભૂતકાળ વહી જાય, ત્યારે તેને વાગોળવામાં સુખ મળતું હોય છે. એવું જ કંઈક આ બંનેના મનમાં ચાલી રહ્યું હતું. અચાનક ગોપાલનું ધ્યાન એક માણસ પર પડ્યું. તેણે નિશીનો હાથ પકડતાં કહ્યું, “નિશી, જો પેલાને.”

નિશીએ જોયું, તો બગીચામાં ચણાજોરગરમ વેચવા વાળો એક ભાઈ ફરી રહ્યો હતો. નિશીએ જાણે કોઈ ફિલ્મનો હિરો જોયો હોય; એવો ઉલ્લાસ તેના ચહેરા પર આવી ગયો. આ એ જ ભૈયાજી હતો, જેમની પાસેથી ગોપાલ અને નિશી જ્યારે આવે ત્યારે ચણાજોરગરમ લેતાં હતાં. ગોપાલે નિશી સામે જોયું અને પૂછ્યું, “ખાઈશું?”

નિશીએ નાનાં બાળકની જેમ માથું હલાવીને હા પાડી. ગોપાલે તરત બૂમ પાડી, “ઓ ભૈયાજી.”

- Advertisement -

પેલો ચણાજોરગરમવાળો તેમની પાસે આવ્યો અને કહ્યું, “બોલો સા’બ?”

ગોપાલે કહ્યું, “બીસ કા બના દો.”

પેલા ભૈયાજીએ પોતાના થેલામાં રહેલી વાટકીનાં માપ પ્રમાણે ચણાજોર લીધાં. બારીક ડુંગળી અને ટમેટાં કાપવા લાગ્યો. ગોપાલે તેને પૂછ્યું, “હમે પહેચાનતે હો?”

પેલાએ ગોપાલ અને નિશી સામે ધ્યાનથી જોયું. તેનો ચહેરો કહી રહ્યો હતો કે, ઓળખાણ પડતી નથી. ગોપાલે એને યાદ કરાવતાં કહ્યું, “ભૈયા, ચાર સાલ કે બાદ આયે હે. આપ કૈસે પહેચાનોગે?”

પેલાએ ડુંગળી-ટમેટાં ભેગાં કરેલાં ચણાજોરગરમમાં મસાલો અને લીંબુ લગાવી મિક્ષ કરવાં માટે કાગળની ભુંગળી બનાવી. પછી તેને ઉપર–નીચે કર્યાં અને પડીકું બનાવી ગોપાલને હાથમાં આપ્યા. ગોપાલે વીસ રૂપિયાની નોટ ભૈયાજીના હાથમાં મૂકી. એ લઈને ભૈયાજી ત્યાંથી રવાના થયો. બંનેએ ચણાજોરગરમ ખાવાની શરૂઆત કરી.

ગોપાલ જૂના દિવસોને યાદ કરી રહ્યો હતો કે, એ દિવસો કેટલા સારા હતા!

નિશી હજી ચણાજોર ખાઈ રહી હતી. એનો ચહેરો કહી રહ્યો હતો કે, એને ખૂબ તીખું લાગી રહ્યું છે. ગોપાલે એનાં કપાળ પર બાજેલી પરસેવાની બુંદો જોઈ. ખિસ્સામાંથી રૂમાલ કાઢી તેનાં કપાળ પર રહેલો પરેસેવો લૂંછતાં કહ્યું, “પાણી લઈને આવ્યો.”

એમ કહી તે ઊભો થયો અને બગીચાના દરવાજા પાસે બેસેલા પાણીવાળા પાસેથી પાણીનાં બે પાઉચ લઈ આવ્યો. સાંજ ઢળી ગઈ હતી. બગીચાની લાઇટ્સ ઝગમગવા લાગી હતી. બગીચાની વચ્ચે આવેલા ફુવારાનો અવાજ પણ આવી રહ્યો હતો. નિશી અને ગોપાલ જૂના સ્મરણો વાગોળી રહ્યાં હતાં. અચાનક ગોપાલને કંઈક યાદ આવ્યું. તેણે નિશીનો હાથ પકડતાં કહ્યું, “નિશી, તારા પપ્પા જે વાત કરી રહ્યા છે, એનું શું કરવાનું?”

નિશીએ ગોપાલના હાથ પર પોતાનો હાથ મૂકતાં કહ્યું, “શું કરવાનું? આપણે કંઈ નથી કરવાનું.”

ગોપાલે કહ્યું, “પણ પપ્પા તો કહે છે કે, આપણે અલગ થઈ જવું જોઈએ. એની વાત કરું છું.”

નિશી એકદમ શાંત થઈ ગઈ. થોડી વાર કંઈ જ બોલી નહીં. પછી તેણે કહ્યું, “પપ્પાએ મારી સાથે વાત કરી હતી. તે મને પૂછી રહ્યા હતા કે, આવી જિંદગી તું ક્યાં સુધી જીવીશ? ગોપાલ જેલમાં છે અને તું અહીંયા એકલી રહે છે, એ જોઈને મારો જીવ બળે છે.”

નિશી આટલું બોલીને ચૂપ થઈ ગઈ. ગોપાલે પૂછ્યું, “તો તે શું કહ્યું?”

નિશીએ ગોપાલની આંખમાં જોઈને પૂછ્યું, “શું કહું? મારી પાસે એનો કોઈ જવાબ જ નથી. પપ્પા એમની જગ્યાએ સાચા છે, પણ હું તને કેવી રીતે છોડી શકું?”

આટલું બોલતાં નિશીની આંખના ખૂણા ભીના થયા. ગોપાલ પણ કંઈ બોલી શક્યો નહીં. તેમની વચ્ચે લાંબો સમય સુધી નીરવ શાંતિ છવાયેલી રહી.

આ દરમિયાન ગોપાલે પોતાની જાતને નિશીની જગ્યાએ મૂકીને જોઈ અને આખી ઘટનાને સમજવાનો પ્રયત્ન કર્યો. તેને પણ લાગી રહ્યું હતું કે, ખરેખર; આ વાતનો કોઈ જ જવાબ નથી. કારણ કે ગોપાલ પણ જાણતો નહોતો કે, હાઇકોર્ટમાં તેની અપીલ ક્યારે ચાલશે? અને ક્યારે તે જેલમાંથી છુટશે? જો હાઇકોર્ટ ન છોડે તો દસ વર્ષ તો જેલમાં રહેવાનું પાક્કું જ હતું. ગોપાલને પણ લાગ્યું કે, નિશીના પપ્પા પણ પોતાની જગ્યાએ સાચા જ છે. એક દીકરીનો બાપ દીકરીની ચિંતા કરે એમાં કંઈ ખોટું નથી. જેલમાં રહ્યા પછી ગોપાલમાં એક પરિવર્તન આવ્યું હતું. પહેલાં તે પોતાને જ સાચો માનતો હતો; પણ હવે એ સામેની વ્યકિત પણ સાચી હોઈ શકે, એવો વિચાર કરતો થયો હતો.

લગભગ અડધો કલાક સુધી બંને એકબીજાનો હાથ પકડીને બેસી રહ્યાં. તેમની વચ્ચે કોઈ જ સંવાદ ન થયો. ગોપાલ અને નિશીનાં મનમાં કદાચ એકસરખી જ ગડમથલ ચાલી રહી હતી. નિશીએ વાતને આગળ વધારતાં કહ્યું, “તું ઘરે નથી તો મને ગમતું નથી. દિવસો તો કેમેય કરી નીકળી જાય છે; પણ દરેક રાત જાણે મને ખાવા દોડતી હોય એવું લાગે છે.”

ગોપાલને નિશીની વાત સમજાતી હતી. તે કહેવા માગતો હતો કે, મારી પણ જેલમાં આવી જ સ્થિતિ છે. પણ તે કહી શક્યો નહીં. કારણ, પોતાની સ્થિતિ માટે ગોપાલ પોતે જ જવાબદાર હતો. પણ નિશી તો ગોપાલની સજા ભોગવી રહી હતી! ગોપાલને જેલમાં રહીને સમજાયું કે, કોર્ટ કોઈ ગુના માટે એક જ વ્યકિતને સજા કરે છે; પણ ખરેખર તો જેલમાં જનારાના પરિવારને પણ જેલની બહાર સજા જેવી જ જિંદગી જીવવી પડતી હોય છે.

નિશીએ કહ્યું, “મારા પપ્પા કહેતા હતા કે, થોડા દિવસ ઘરે આવી જા.”

આટલું બોલીને નિશીએ ગોપાલની આંખમાં જોયું. ગોપાલે કહ્યું, “પપ્પાના ઘરે જવું છે, તો મને શું પૂછવાનું? તું પપ્પાના ઘરે જઈ આવ.”

નિશી કંઈ બોલી નહીં, બસ ગોપાલનો હાથ પકડીને બેસી રહી. થોડીવાર પછી ગોપાલે પૂછ્યું, “જઈશું?”

નિશીએ હકારમાં માથું હલાવ્યું. બંને બગીચાની બહાર નીકળ્યાં. ત્યાંથી મહાલક્ષ્મી તરફ જતાં રસ્તા પર ગોપાલે સ્કૂટી વાળી. નિશીએ પૂછ્યું, “આમ ક્યાં?”

ગોપાલે હસતાં હસતાં કહ્યું, “મમ્મીએ જમવાનું બનાવ્યું નથી.”

નિશીને યાદ જ નહોતું કે, ઘરે જમવાનું બનાવવાની ના કહીને નીકળ્યાં છીએ; પણ ગોપાલને એ યાદ હતું. મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે રોડની ડાબી બાજુએ એક ઢોંસાવાળો બેસે છે. એના ઢોંસા નિશીને ખૂબ ભાવતા હતા એટલે ગોપાલે સીધી ઢોંસાવાળાની લારી પાસે જઈને સ્કૂટી ઊભી રાખી. નિશીના ચહેરા પર ચમક આવી ગઈ. કદાચ ગોપાલ જેલમાં ગયો એ પછી, તેણે પણ ઢોંસા ખાધા હોવાનું તેને યાદ નહોતું. બંને ઢોંસા ખાવાં બેઠાં.

ત્યાંથી નીકળતાં રાતના દસ વાગી ગયા હતા. ગોપાલ અને નિશી ઘર તરફ નીકળ્યાં. આખા રસ્તે ગોપાલ કોર્પોરેશનની લાઇટ્સથી ઝગમગી રહેલાં પોતાનાં ગમતાં શહેરને જોઈ રહ્યો હતો.

(ક્રમશ:)

PART 49 : ગોપાલે નીશીને આલીંગનમાં લીધી, બંન્નેના શ્વાસની ઝડપ એકદમ વધી ગઈ જાણે હ્રદય ફાટી બહાર નીકળી જશે

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular