Wednesday, July 8, 2026
HomeGujaratAhmedabadસલીમે કહ્યું આ મેલડીમાતાનું મંદિર છે બહુ સત છે કેદીઓ અહિયા જે...

સલીમે કહ્યું આ મેલડીમાતાનું મંદિર છે બહુ સત છે કેદીઓ અહિયા જે બાધા રાખે તે પુરી થાય

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-42): Nadaan Series: બંધી અમલદારે જોયું કે બાબલા ગેંગના બધા કેદીઓ પાસે સાવરણા આવી ગયા છે. તેણે સૂચના આપી. “તમે બડાચક્કર તરફ, તમે છોટાચક્કર તરફ, તમે શાંતિ તરફ, તમે પંજા બેરેક તરફ.”

ગોપાલ અને સલીમના ભાગે પંજા બેરેક આવી. આ બધા બેરેકનાં નામ હતાં. ગોપાલ આખી સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સલીમે તેના હાથને સ્પર્શ કર્યો અને ઇશારો કરતાં કહ્યું, “આ મંદિર દેખાય છે, તે મેલડી માતાનું મંદિર છે. બહુ સત છે. કેદીઓ અહીંયા જે બાધા રાખે તે પૂરી થાય છે.”

- Advertisement -

ગોપાલે આશ્ચર્યથી એની સામે જોયું. સલીમે કહ્યું, “સાતેક વર્ષ પહેલાં હું પ્રોહિબિશનના કેસમાં અહીંયા આવ્યો હતો એટલે મને ખબર છે.”
સલીમ અને ગોપાલ વાત કરી રહ્યા હતા એ અમલદારના ધ્યાનમાં આવ્યું. એણે બૂમ પાડતાં કહ્યું, “ભાઈ, તમારી વાતો પૂરી થઈ હોય તો કામે ચાલો.”

જૂના કેદીઓને પંજા બેરેક સુધી જવાનો રસ્તો ખબર હતો. એ બધાની પાછળ ગોપાલ અને સલીમ ચાલવા લાગ્યા. ગોપાલનું મન હજી મેલડી માતાના મંદિરમાં જ અટકેલું હતું. ગોપાલે મંદિર તરફ જોઈ દૂરથી જ માથું નમાવ્યું. ચાલતાં ચાલતાં એ જેલ જોઈ રહ્યો હતો. કેન્ટીનથી થોડો આગળ જતાં એનું ધ્યાન ડાબી બાજુમાં બેઠેલા જેલના અધિકારીઓ તરફ ગયું.

બેઠા ઘાટની નળીયાવાળી ઑફિસ હતી. બહાર ઓસરી જેવું હતું. એની ઉપર પણ છાપરું હતું. ત્યાં અધિકારીઓ ટેબલ ખુરશી નાખીને બેઠા હતા. તેમની નજર ત્યાંથી પસાર થતાં કેદીઓની અવરજવર પર હતી. સલીમે કહ્યું, “આ પેટી છે.”
ગોપાલે પ્રશ્નાર્થ ભાવે એની સામે જોયું. સલીમે કહ્યું, “જેલનું પોલીસ સ્ટેશન કહેવાય. કોઈ દંગો કરે, તો એને પકડીને અહીં લાવવામાં આવે.”

- Advertisement -

પેટી આવતાં જ બધા કેદીઓએ પોતાની ટોપી પહેરી લીધી. કારણ, ખુલ્લાં માથે જેલમાં ફરવું એ જેલશિસ્તની વિરુદ્ધ ગણાય છે. ગોપાલને યાદ આવ્યું કે, તે જેલમાં દાખલ થયો ત્યારે આ જ રસ્તા પરથી અંદર આવ્યો હતો. પેટીની બરાબર સામે એક ખુલ્લું મેદાન અને ત્યાં એક મંચ હતું. તેની ઉપર લખ્યું હતું, ‘ઓપનએર થિએટર.’

આગળ જતાં ડાબી બાજુની પગદંડી પાસે એક દરવાજો હતો. જેમાંથી બે માણસ પણ એક સાથે પ્રવેશી ન શકે એટલો નાનો હતો. તેની ઉપર લખ્યું હતું, ‘દરજી વિભાગ.’ જેલમાં જે રીતે કેદીઓ પોતાના રોજબરોજના કામ માટે ફરતા હતા; તે જોઈ બહારના માણસને લાગે જ નહીં કે, આ જેલ છે. પણ તેમની આ મુક્તતા જેલની ઊંચી દીવાલોની અંદરની જ હતી! પંજા બેરેક તરફ તેઓ આગળ વધ્યા. ડાબી બાજુ ફરી એક નાનો દરવાજો આવ્યો. તેની ઉપર લખ્યું હતું ‘તિલકયાર્ડ.’

- Advertisement -

ગોપાલ વિચાર કરવા લાગ્યો. તેને યાદ આવ્યું કે, આઝાદીની લડાઈ વખતે આ જેલમાં ઘણાબધાં મોટા નેતાઓને રાખવામાં આવ્યા હતા. તિલકયાર્ડની દીવાલ પર જ એક નાનું બોર્ડ પણ હતું. તેની ઉપર લખ્યું હતું, ‘કાનુની સેવા સત્તા મંડળની ઑફિસ.’ આ બોર્ડ વાંચતાં જ ગોપાલને ચમકારો થયો. હજી ગઈ રાતે જ તેણે વિચાર કર્યો હતો કે, એને રજા પર બહાર જવું છે. તેને થોડી સમજ આવી ગઈ હતી કે, જેલમાંથી કોઈ કેદીને કોર્ટમાં જવું હોય તો લીગલ ઑફિસમાંથી તેણે અરજી કરવાની હોય છે.

ગોપાલને આ ઑફિસ જોતાં જ, જાણે ફરી એક આશાનું કિરણ દેખાયું. તેણે નક્કી કર્યું કે, તે આ ઑફિસમાં આવીને રજાની અરજી કરશે. સલીમ તેને જોઈને હસ્યો. તે માની રહ્યો હતો કે, ગોપાલ હજી નાનાં બાળક જેવો જ છે. જેલની બધી ઑફિસ પૂરી થઈ અને ડાબી બાજુ રસ્તો વળતો હતો. હવે જેલની બે દીવાલો હતી. એક બહારની ઊંચી દીવાલ અને ત્યાર પછી એક રસ્તો હતો અને રસ્તા પછી પાછી એક દીવાલ હતી. આ બંને વચ્ચેનો રસ્તો પંજા બેરેક તરફ જઈ રહ્યો હતો.

જૂના કેદીઓ તો પોતાની ગમ્મત મસ્તીમાં ચાલતા હતા. ગોપાલ બહારની ઊંચી દીવાલ અને તેની ઉપર લાગેલા ઇલેકટ્રિક વાયરોને જોઈ રહ્યો હતો. આ જોઈ સલીમને ગમ્મત સૂઝી. તેણે ગોપાલને પૂછ્યું, “ભાગવાનો ઇરાદો છે?”
સલીમનો પ્રશ્ન સાંભળી ગોપાલ પણ હસી પડ્યો. તે થોડો નજીક આવ્યો અને હસતાં હસતાં જવાબ આપ્યો, “દીવાલો પર વાયર જોયા? મરવુ છે?”

બંને હસી પડ્યા. તરત ડાબી તરફ એક મોટુ મકાન નજરે પડ્યું. આ મકાન પણ છાપરા વાળું હતું. તેની છત ખૂબ ઊંચી હતી. બધા કેદીઓ તે મકાનમાં દાખલ થયા. ગોપાલે પહેલાં તો મકાનની અંદર નજર કરી, તો મોટા હોલ જેવું મકાન હતું. બરાબર સામે એક સ્ટેજ પણ હતું. સ્ટેજની બાજુમાં ગાંધીની અડધા કદની એક પ્રતિમા હતી. દીવાલો પર સુવિચારો લખેલા હતા. ગોપાલને લાગ્યું કે, જેલની આ કોઈ ખાસ જગ્યા છે. કારણ, અહીં એક જુદી જ અનુભૂતિ થતી હતી.

બધા કેદીઓ કામ કરવા લાગ્યા. સલીમ અને ગોપાલે પણ મકાનનો એક હિસ્સો પસંદ કરીને ઝાડુ મારવાની શરૂઆત કરી. ગોપાલને આ કામની ટેવ નહીં હોવાને કારણે થોડી થોડી વારે તે ઊભો થતો અને વાંકી વળી ગયેલી કમર સીધી કરતો. સલીમ આ બધું જોઈ ગોપાલને ખબર ન પડે એ રીતે હસી લેતો. બધા એક સાથે પંજા બેરેક સાફ કરી રહ્યા હતા. જેના કારણે પંજા બેરેકમાં ધૂળ ઉડી રહી હતી. ગોપાલને થયું કે, અહીંથી બહાર નીકળી જાય, પણ પાછી ત્યાં હાજર અમલદારની તેને બીક લાગી.

ગોપાલને ગોવિંદભાઈ યાદ આવી ગયા. પાલનપુર જેલમાં તો ભાઈને કારણે ક્યારેય આવું કામ કરવું પડ્યું નહોતું. કામ કરતાં કરતાં બપોરના બાર વાગી ગયા. હવે રિસેસનો સમય હતો. જે કેદીઓ સવારે જમીને આવ્યા હતા, તેમણે તો પંજા બેરેકની બહાર આવેલા લીમડાના ઝાડ નીચે લંબાવી દીધું. બાબલા ગેંગના કેદીઓને છૂટ હતી કે, દિવસ દરમિયાન કામ પૂરું કરીને તેઓ ઇચ્છે ત્યાં આરામ ફરમાવી શકતા. ગોપાલ અને સલીમનું જમવાનું બાકી હતું. સલીમે કહ્યું, “બેરેકમાં જઈશું?”

ગોપાલ અને સલીમ જમવા માટે પોતાની બેરેક પર પાછા ફરી રહ્યા હતા. પાછા ફરતી વખતે ગોપાલનું ધ્યાન ફરી તિલકયાર્ડ અને લીગલ ઑફિસ તરફ ગયું. સલીમે તેનું ધ્યાન ત્યાંથી હટાવવા કહ્યું, “આ તરફ જો.”
તિલકયાર્ડની બરાબર સામે એક દરવાજો હતો. એ દરવાજો બંધ હતો. બહાર એક પોલીસવાળો બેઠો હતો દરવાજા ઉપર લખ્યું હતું, “મહિલા યાર્ડ.” ગોપાલે સલીમ સામે જોતાં કહ્યું, “મને કેમ બતાવે છે?”
સલીમ હસી પડ્યો. તેને લાગ્યું કે, ગોપાલ બીજો અર્થ કાઢી રહ્યો છે એટલે તેણે કહ્યું, “આ મહિલા યાર્ડ છે. અહીં મહિલા કેદીઓને રાખવામાં આવે છે. અંદર કસ્તુરબા ખોલી પણ છે.”

ગોપાલે ફરી સલીમ સામે જોયું. સલીમે કહ્યું, “કસ્તુરબા, વાઇફ ઓફ મહાત્મા ગાંધી.”
ગોપાલને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, “ખબર છે મને, કસ્તુરબા કોણ હતા એ.”

ફરી બંને હસી પડ્યા. બાબલા બેરેક પર પહોંચી ગોપાલ અને સલીમે પહેલાં હાથ-પગ મોઢું ધોયાં. કારણ, તેઓ આખા માટીવાળા થઈ ગયા હતા. ગોપાલને થાક પણ લાગ્યો હતો. ઘરે તો એ બહારથી આવે એટલે પાણીનો ગ્લાસ આપવા મમ્મી અને નિશી હતાં. વળી આવું કામ તો એના ભાગે ક્યારેય આવ્યું જ નહોતું. ગોપાલ અને સલીમ સાથે જમ્યા અને પછી સલીમે તો તરત લંબાવી દીધું. ગોપાલને પણ ઊંઘ આવી રહી હતી, પણ તેનું મન લીગલ ઑફિસમાં જ આંટા મારી રહ્યું હતું. ત્યાં જવાનો મોકો ક્યારે મળશે? એ જ વિચાર તે કરી રહી રહ્યો હતો.

(ક્રમશઃ)

PART 41 : તે રાતે ગોપાલને ખુબ બીક લાગી, ઠંડો પવન હતો બધા કેદીઓએ સફેદ ચાદર માથા સુધી ઓઢી હતી

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular